OMG: 'પદ્માવતી'માં રણવીર આ મેલ એક્ટર સાથે કરશે રોમાન્સ!
ફિલ્મ 'પદ્માવતી'માં 'નીરજા' ફેમ એક્ટર જિમ સાર્ભ સુલતાન અલાઉદ્દીન ખીલજીના કથિત પ્રેમી મલિક કાફૂરના રોલમાં જોવા મળનાર છે.
'પદ્માવતી' ફિલ્મ ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત છે અને આ કારણે ફિલ્મ અંગે ઘણો વિવાદ અને વિરોધ થઇ ચૂક્યો છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મના મુખ્ય પાત્રો અલાઉદ્દીન ખીલજી(રણવીર સિંહ), રાણી પદ્માવતી(દીપિકા પાદુકોણ) અને મહારાવલ રતન સિંહ(શાહિદ કપૂર)ના લૂક્સ જાહેર થઇ ચૂક્યા છે. આ ફિલ્મમાં અન્ય એક મહત્વપૂર્ણ પાત્ર છે એક્ટર જિમ સાર્ભનું. છેલ્લે 'રાબતા'માં વિલન તરીકે જોવા મળેલ જિમ સાર્ભ આ ફિલ્મમાં સુલતાન અલાઉદ્દીન ખીલજીના જનરલ મલિક કાફૂરના રોલમાં જોવા મળશે. કહેવાય છે કે, મલિક કાફૂર સુલતાનનો જનરલ ઉપરાંત પ્રેમી પણ હતો.
સુલતાન અલાઉદ્દીન ખીલજીનું પાત્ર
જી હા, કહે છે કે શક્તિશાળી અને ક્રૂર સુલતાન અલાઉદ્દીન ખીલજી બાયસેક્સ્યુઅલ હતો. સંજય લીલા ભણસાલી આ તથ્યને કારણે પણ આ ફિલ્મમ બનાવવા માટે લલચાયા છે. ફિલ્મમાં અલાઉદ્દીન ખીલજીનું રાણી પદ્માવતી પ્રત્યેનું ઝનૂન ઉપરાંત સુલતાન અને જનરલ કાફૂર વચ્ચેના સંબંધો પણ દર્શાવવામાં આવ્યા છે. જો કે, લોકોની ભાવનાને ઠેસ ન પહોંચે એ હેતુથી તેમણે આ સિન ખૂબ હળવી રીતે શૂટ કર્યા છે.
સુલતાન અને મલિક કાફૂર
મલિક કાફૂર અને સુલતાન અલાઉદ્દીન ખીલજીના સંબંધો અંગે ઇતિહાસકારો વચ્ચે અનેક ચર્ચા-વિચારણા અને દલીલો થઇ છે. કહેવાય છે કે, સુલતાનને તેના આ ગુલામ પ્રત્યે લાગણી હતી અને પોતના અંતિમ સમયમાં પણ તે સૌથી વધુ વિશ્વાસ કાફૂર પર જ કરતો હતો. સુલતાન અલાઉદ્દીન ખીલજીના જનરલ નુસરત ખાને ગુજરાત પરની ચઢાઇ દરમિયાન હજાર દિનારમાં કાફૂરને ખરીદ્યો હતો. ગુલામ તરીકે આવેલ કાફૂરનું કદ ખીલજી સેનામાં ધીરે-ધીરે વધતું ગયું અને સુલતાને તેને પોતાની સેનાનો મલિક નિયુક્ત કર્યો.
કાફૂરના હાથમાં હતી કમાન
સુલતાન કાફૂરની રણનીતિ અને અને યૌવન પર મંત્રમુગ્ધ હોવાનું કહેવાય છે. પોતાના છેલ્લા સમયમાં બીમારી સામે સંઘર્ષ કરી રહેલ સુલતાને રાજ-પાઠની સંપૂર્ણ જવાબદારી કાફૂરને જ સોંપી દીધી હતી. તમામ મુખ્ય નિર્ણયો કાફૂર જ લેતો હતો, ખીલજીએ પોતાનું બધું કાફૂરને નામ કરી દીધું હતું. જો કે, પોતાના આંધળા વિશ્વાસની ખીલજીએ બહુ મોટી કિંમત ચૂકવી હતી.
સુલતાન અલાઉદ્દીન ખીલજીને મળ્યો દગો?
કેટલાક ઇતિહાસકારો અનુસાર, કાફૂરમાં ધીરે-ધીરે સત્તા અને રાજ મેળવવાની લાલચ વધતી જતી હતી, ખીલજીનું સામ્રાજ્ય કબજે કરવા માટે તેણે જ ખીલજીને ધીરે-ધીરે મૃત્યુ તરફ ધકેલ્યા હતા. તેણે ખીલજીને નજરબંધ કરી ધીમુ ઝેર આપવાનું શરૂ કર્યું હતું. ઇતિહાસ પર નજર નાખતાં સુલતાન અલાઉદ્દીન ખીલજીના પાત્રના અનેક પાસા સામે આવે છે. હવે ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મમાં કયા પ્રસંગો લીધા છે તથા વાર્તા કઇ રીતે રજૂ કરી છે, આ જાણવું રસપ્રદ રહેશે.