કંગના રનોતનો મહાત્મા ગાંધી પર હુમલો - બીજો ગાલ આગળ કરવાથી આઝાદી નથી મળતી, બાળ્યુ અભિનેત્રીનુ પૂતળુ
કંગના રનોતના ભીખમાં મળેલી આઝાદીના નિવેદન બાદ હવે એક નવો વિવાદ મહાત્મા ગાંધી વિશે ઉભો થઈ ગયો છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતના ભીખમાં મળેલી આઝાદીના નિવેદન બાદ હવે એક નવો વિવાદ મહાત્મા ગાંધી વિશે ઉભો થઈ ગયો છે. કંગના રનોતો મહાત્મા ગાંધીજીની મજાક ઉડાવી છે ત્યારબાદ દેશમાં તેનો આકરો વિરોધ થઈ રહ્યો છે. કંગના રનોત સામે જયપુરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વળી, ઘણા શહેરોમાં કંગના રનોતનુ પૂતળુ પણ બાળવામાં આવ્યુ છે. મંગળવારે કંગના રનોતે મહાત્મા ગાંધીના અહિંસાના મંત્ર પર આકરી ટિપ્પણી કરી છે. મહાત્મા ગાંધી પર નિવેદન આપીને કંગના રનોતે કહ્યુ છે કે બીજો ગાલ આગળ કરવાથી ભીખ મળે છે નહિ કે આઝાદી.
તમે ગાંધીજીના ફેન હોઈ શકો છો અથવા નેતાજીના સમર્થક
કંગના રનોતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લેખ શેર કર્યો છે. આ આર્ટિકલની હેડલાઈનમાં લખ્યુ છે કે તમે ગાંધીજીના ફેન હોઈ શકો છો અથવા નેતાજીના સમર્થક. તમે બંનેના સમર્થક ન હોઈ શકો. આનો નિર્ણય જાતે કરો. આના પર કંગના રનોતે પોતાની પ્રતિક્રિયા આપીને લખ્યુ છે કે બીજો ગાલ આપવાથી ભીખ મળે છે, આઝાદી નહિ. કંગના રનોતે ત્યારબાદ પણ પોતાનુ નિવેદન વ્યક્ત કરીને લખ્યુ છે કે આ એ જ છે જેમણે આપણને શીખવ્યુ છે કે જો કોઈ એક થપ્પડ મારે તો બીજા એક થપ્પડ માટે ગાલ આપી દો. આ રીતે આપણને આઝાદી મળશે. આ રીતે કોઈને આઝાદી નથી મળતી. આ રીતે ભીખ મળી શકે છે. તમારા નેતાઓને બુદ્ધિથી પસંદ કરો.
કંગના રનોતનુ મહાત્મા ગાંધી પર નિવેદન
કંગના રનોતે એ પણ કહ્યુ કે એ સહુને માત્ર પોતાની સ્મૃતિના એક ખૂણામાં રાખવા અને દર વર્ષે એ સૌને જન્મદિવસની શુભકામનાઓ આપવી પૂરતી નથી. આ માત્ર મૂર્ખતા નહિ પરંતુ અત્યાધિક બિન જવાબદાર અને સુપરફિશિયલ છે. કંગના રનોતે કહ્યુ કે ગાંધીજીએ ક્યારેય ભગતસિંહ અને નેતાજીને સપોર્ટ ન કર્યો. ઘણા પુરાવા છે જે ઈશારો કરે છે કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી થઈ જાય.
કંગના રનોતનુ પૂતળુ બાળ્યુ
મીડિયા રિપોર્ટ મુજબ કંગના રનોત સામે રાજસ્થાનની રાજધાની જયપુરમાં કોંગ્રેસ નેતાએ ફરિયાદ નોંધાવી છે. વળી, બીજી તરફ હરિયાણામાં પણ ખેડૂતોએ લઘુ સચિવાલય સામે અભિનેત્રીનુ પૂતળુ બાળ્યુ છે. બિહારના આરામાં પણ કંગના રનોત સામે અખિલ ભારતીય પ્રગતિશાળી મહિલા એસોસિએશન તરફથી કાર્યક્રમ આયોજિત કરીને અભિનેત્રીનુ પૂતળુ બાળવામાં આવ્યુ છે.
કંગના રનોતની બબાલ
કંગના રનોતને હાલમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રીથી નવાજી હતી. આના બે દિવસ બાદ તેણે આઝાદી વિશે નિવેદન આપ્યુ. કંગના રનોતે ગયા સપ્તાહે કહ્યુ હતુ કે વર્ષ 1947માં ભારતને આઝાદી નહિ પરંતુ ભીખ મળી હતી. અસલી સ્વતંત્રતા 2014માં મળી જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી. આ અંગે પહેલેથી ઘણો હોબાળો મચેલો છે. લુધિયાણામાં પણ શિવસૈનિકોએ કંગના રનોતનુ પૂતળુ બાળ્યુ હતુ.