Harnaz Kaur Sandhu: મુશ્કેલીમાં ઘેરાઈ મિસ યુનિવર્સ હરનાઝ સંધૂ, કપિલ શર્માની 'બુઆ'એ કર્યો કેસ
વિશ્વમાં ભારતનુ નામ ગર્વથી ઉંચું કરનાર હરનાઝ કૌર સંધુ પોતે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.
નવી દિલ્લીઃ મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુ મુશ્કેલીમાં ઘેરાઈ ગઈ છે. વિશ્વમાં ભારતનુ નામ ગર્વથી ઉંચું કરનાર હરનાઝ કૌર સંધુ પોતે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ચંદીગઢની સિવિલ કોર્ટમાં હરનાઝ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પંજાબી ફિલ્મ સાથે સંબંધિત આ કેસમાં હરનાઝ વિરુદ્ધ સિવિલ સુટ દાખલ કરવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ કરારનો ભંગ કરવા અને નુકસાની માટે વળતરનો દાવો કરવા માટે કેસ નોંધવામાં આવ્યો છે.
કપિલ શર્માની 'બુઆ'એ કરાવ્યો કેસ
કોમેડિયન કપિલ શર્માની ઓનસ્ક્રીન 'બુઆ' તરીકે ઘરે-ઘરે ફેમસ થયેલી અભિનેત્રી ઉપાસના સિંહે મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુ સામે કોર્ટમાં કેસ કર્યો છે. ઉપાસના સિંહે ચંદીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મિસ યુનિવર્સ હરનાઝ સંધુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પંજાબી ફિલ્મોની નિર્માતા ઉપાસના સિંહે હરનાઝ પર કરાર ભંગનો આરોપ લગાવ્યો છે અને કહ્યુ છે કે મિસ યુનિવર્સને કારણે તેણે ઘણુ સહન કર્યુ છે.
શું છે સમગ્ર મામલો
ઉપાસના સિંહે આરોપ લગાવ્યો છે કે તેણે હરનાઝ કૌરને તેની પંજાબી ફિલ્મ 'બાઈ જી કુટનેજ'માં લીડ રોલ તરીકે સાઈન કરી હતી અને આખી ફિલ્મનું શૂટિંગ પણ કર્યુ હતુ. ઉપાસનાએ જણાવ્યુ હતુ કે હરનાઝ સંધુએ મુખ્ય ભૂમિકા તરીકે સંતોષ એન્ટરટેઈનમેન્ટ સ્ટુડિયો LLP સાથે કલાકાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે મુજબ તેણે ફિલ્મના પ્રમોશન માટે ફીઝિકલ અને વર્ચ્યુઅલ બંને રીતે સામેલ થવાનુ હતુ પરંતુ વર્ષ 2021માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ હરનાઝ સંધુએ કરારની શરતો પૂરી કરી ન હતી અને હવે તે પોતાનો ફોન પણ ઉપાડતી નથી. તે ઈમેલના જવાબો પણ આપતી નથી.
પંજાબી ફિલ્મોમાં કર્યુ કામ
ઉપાસના સિંહે કહ્યુ કે જ્યારે તે કંઈ ન હતી ત્યારે તેણે હરનાઝને કામ આપ્યુ હતુ. હવે તે પોતાની જાતને મોટી સ્ટાર માનવા લાગી છે. પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેના માટે બહુ નાની વાત બની ગઈ છે. તેણે કહ્યુ કે હરનાઝ ફિલ્મના પ્રમોશનમાં ભાગ લેતી નથી. તેના કારણે તેમણે સહન કર્યુ છે. સાથે જ આ કારણે તેણે ફિલ્મની રિલીઝ ડેટ પણ બદલવી પડી હતી. પહેલા આ ફિલ્મ 27 મે 2022ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મની તારીખ લંબાવીને 19 ઓગસ્ટ કરવી પડશે.
મિસ યુનિવર્સના કારણે નુકશાન
તેણે કહ્યુ કે ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફારને કારણે તેણે ઘણા સવાલોના જવાબ આપવા પડશે. આ કારણે તેઓએ ઘણુ સહન કર્યુ છે. તેણે કહ્યુ કે હરનાઝ સંધુના બેજવાબદાર વલણને કારણે તે આર્થિક મુશ્કેલીમાં છે. તેણે કહ્યુ કે હરનાઝને લાગે છે કે તે માત્ર બૉલિવુડ અને હોલિવુડના પ્રોજેક્ટ માટે બની છે. ઉપાસના સિંહના આ સિવિલ સૂટના કારણે હરનાઝ સંધુની મુશ્કેલીઓ વધી ગઈ છે.