‘મારા જીવન સાથે મળતી આવે છે અંકુર અરોરાની ભૂમિકા’
મુંબઈ, 23 એપ્રિલ : બંગાળી ફિલ્મોના અભિનેત્રી પાઓલી ડૅમ કહે છે કે વિક્રમ ભટ્ટની આવનાર ફિલ્મ અંકુર અરોરા મર્ડર કેસમાં તેમની ભૂમિકા તેમના વાસ્તિવક જીવન સાથે મળતી આવે છે.
અંકુર અરોરા મર્ડર કેસ ફિલ્મની પટકથા વિક્રમ ભટ્ટે લખી છે, જ્યારે સોહૈલ તતારી ફિલ્મના દિગ્દર્શક છે. ફિલ્મની વાર્તા એક છોકરાનું ઑપરેશન દરમિયાન તબીબોની બેદરકારીને કારણે થયેલ મોતની વાસ્તવિક ઘટના ઉપર આધારિત છે. પાઓલી ડૅમ ફિલ્મમાં એક વકીલની ભૂમિકામાં છે.
પાઓલીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું - ફિલ્મમાં મારી ભૂમિકા સામાન્ય વકીલની છે. આ ભૂમિકા મહદઅંશે મારા વાસ્તવિક જીવન સાથે મળતી આવે છે. આ ભૂમિકા એવી છે કે જે કરતા મને ખૂબ મજા પડી.
પાઓલી ડૅમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ હેટ સ્ટોરી હતી. તેઓ કહે છે કે અંકુર અરોરા જુદા પ્રકારની વાર્તા છે અને તેમની પ્રથમ ફિલ્મ કરતાં એકદમ જુદી છે. ફિલ્મમાં પાઓલી ઉપરાંત કે. કે. મેનન, ટિસ્કા ચોપરા અને અર્જુન માથુરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મ આગામી 14મી જૂનના રોજ રિલીઝ થવાની છે.