મુંગેરીલાલ કે હસીન સપને... જોશે રણબીર કપૂર
મુંબઈ, 3 જાન્યુઆરી : પડદો નાનો હોય કે મોટો... કેટલાંક લોકોએ કેટલાંક પાત્રોને અમર કરી નાંખ્યા છે. તેવા જ અમર અને લોકપ્રિય પાત્રોમાંના એક છે નેવુના દશકાની હિટ ટેલીવિઝન સીરિયલ મુંગેરીલાલ કે હસીન સપને. તેને નાના પડદે અવતરિત કર્યુ હતું બહુમુખી પ્રતિભાના માલિક રઘુવીર યાદવે. તેમને આજેય લોકો મુંગેરીલાલના નામે સંબોધે છે.
આ સીરિયલ ઉપર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ બનાવેશ પ્રકાશ ઝા. ઝાએ સીરિયલ્સના રાઇટ્સ ખરીદી લીધાં છે. સમાચાર છે કે ફિલ્મમાં હીરો હશે રણબીર કપૂર. પ્રકાશ ઝાના જણાવ્યા મુજબ રણબીર કૉમેડી સારી કરે છે અને ફ્રેશ પણ છે. તેથી તેઓ રણબીરને આ ફિલ્મમાં લઈ રહ્યાં છે. ઝાએ પોતાની હિટ ફિલ્મ રાજનીતિમાં રણબીર કપૂરને લીધા હતાં. ફિલ્મ વર્ષ 2010ની મોટી હિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ હતી. લોકોએ રણબીરના ખૂબ વખાણ પણ કર્યા હતાં.
જોકે હાલ પ્રકાશ ઝા રણબીરના બહેન કરીના કપૂર સાથે ફિલ્મ સત્યાગ્રહ બનાવી રહ્યાં છે કે જે અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલના સંબંધો પર આધારિત છે. ફિલ્મમાં કરીના પત્રકારની ભૂમિકામાં છે. કરીનાની આ પ્રથમ ફિલ્મ છે કે જે તેમણે લગ્ન બાદ સાઇન કરી છે. ફિલ્મમાં અજય દેવગણ અને મનોજ બાજપાઈ છે.