મુવી રિવ્યુ: જીવન અને મૃત્યુ વચ્ચેનો પ્રવાસ છે 'ધ સ્કાય ઈઝ પિંક'
દરેકનું પોતાનું સપનાનું આકાશ હોય છે, જેમાં વ્યકિત ચાહે તે મનપસંદ રંગ ભરી શકે છે. સોનાલી બોસના નિદર્શનમાં બનેલી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક' જીવન અને મૃત્યુ વચ્ચેની પ્રવાસ છે.
દરેકનું પોતાનું સપનાનું આકાશ હોય છે, જેમાં વ્યકિત ચાહે તે મનપસંદ રંગ ભરી શકે છે. સોનાલી બોસના નિદર્શનમાં બનેલી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક' જીવન અને મૃત્યુ વચ્ચેની પ્રવાસ છે. આ પ્રવાસ સંવેદનશીલ છે. 'ધ સ્કાય ઈઝ પિંક' આયશા ચૌધરીની સાચી ઘટના પર આધારિત છે. 18 વર્ષીય આયશા મોટિવેશનલ વક્તા હતી. જેને જન્મથી જ SCID(severe Combined Immuno-Deficiency) નામની બિમારી હતી. આ બિમારી છતાં આયશાના જીવનમાં ઉત્સાહ ઓછો થતો નથી. તેમણે TEDx, INK જેવા પ્લેટફોર્મથી અનેક લોકોને પ્રેરણા આપી છે. જેનો ઉલ્લેખ આ ફિલ્મમાં જોવા મળે છે. 18 વર્ષ વયે આયશાએ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.
ફિલ્મની કહાણી
અદિતિ ચોપડા(પ્રિયંકા ચોપડા ) અને નરેન (ફરહાન અખ્તર)ની પ્રેમ કહાણીથી ફિલ્મની શરૂઆત થાય છે. આયશા (ઝાયરા વસીમ) અને ઈશાન(રોહિત સરાફ) વિના તેનું જીવન કેવું હતુ અને બાળકો બાદ તેનું જીવન કેવું બદલાય છે તેને ફિલ્મમાં ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યુ છે. આખી ફિલ્મ 25 વર્ષોના પ્રવાસમાં સમેટાઈ છે. એક સુત્રધાર તરીકે આયશા દર્શકોને પોતાની કહાણી બતાવે છે. પોતાના માતા-પિતા, ભાઈ સાથે જોડાયેલી વાતો વર્ણવે છે. આયશા SCID નામની બિમારી સાથે પેદા થાય છે અને તેના જન્મ સાથે જ આખા પરિવારનું જીવન પલટાઈ જાય છે. તેના માતા પિતા તેને બચાવવા માટે તમામ પ્રયત્નો કરે છે. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે કેટલીક ગેરસમજો પણ થાય છે. ઘણી વાર લાગણીઓનું ધોડાપુર પણ જોવા મળે છે. જો કે એકબીજાની સાથે તેઓ હિંમત જાળવીને રહે છે. જન્મથી મૃત્યુ વચ્ચેની આશા અને સકારાત્મકતાની કહાણી છે 'ધ સ્કાય ઈઝ પિંક'..
અભિનય
અદિતિ અને નરેન ચૌધરીના કેરેક્ટરમાં પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરે પ્રામાણિકતા દેખાડી છે. એક માતા-પિતા તરીકે બંનેની ફરજોને ડાયરેક્ટરે સારી રીતે કહાણીમાં વણી લીધી છે. બંને વચ્ચેની સારી યાદો તમારા ચહેરા પર સ્મિત લાવી જાય છે ત્યાં જ બિમાર બાળક માટે અંદરથી તૂટી ગયેલા માતા-પિતાને જોઈ તમને રડુ પણ આવી જશે. બંને કેરેક્ટરને અલગ રંગરૂપ આપવામાં આવ્યો છે. ફિલ્મની કેન્દ્ર છે આયશા કે જે લાઈલાજ બિમારી સામે લડવા માટે ઘણી હિંમત બતાવે છે. સાથે જ આયશાના મોટા ભાઈ તરીકે રોહિત સરાફની ભૂમિકા પણ વખાણવાલાયક છે.
નિદર્શન અને ટેકનિકલ પક્ષ
સોનાલી બોસે આ ફિલ્મમાં આયશા ચૌધરીના જીવનને માપી-તોળીને મુક્યુ છે. આખી ફિલ્મ જ્યાં સંવેદનશીલ દ્રશ્યો વચ્ચે બનેલી છે ત્યાં જ કેટલાક ડાયલોગ્સ એવા છે જેને સાંભળી તમે હસી પડશો. એક કુટુંબની હિંમતભરી કહાણી આ ફિલ્મમાં દર્શાવાઈ છે. સોનાલી બોસ અને જુહી ચતુર્વેદીએ પટકથા તૈયાર કરી છે જે વખાણવાલાયક છે. પટકથા ધીમી ગતિએ આગળ વધે છે પણ દર્શકોને પોતાની સાથે જકડી રાખે છે. જો કે ફિલ્મમાં નરેનમાં કેટલીક ખામીઓ દેખાડવામાં આવી છે, જેથી કેટલાક દ્રશ્યો મહત્વના રહેવા છતાં લોકોની આંખે ઉતરતા નથી. એડિટર તરીકે માનસ મિત્તલ ફિલ્મમાંથી કેટલીક મિનિટો કાઢી શકતા હતા.
જોવી કે નહિં
આ ફિલ્મને જોવા માટે એક નહિં પણ અનેક કારણો છે. લાંબા સમય બાદ પ્રિયંકા ચોપડા બોલીવુડ ફિલ્મમાં જોવા મળી અને તેમણે બતાવી દીધુ કે આજે પણ બોલીવુડને તેમની જરૂર છે. પ્રિયંકા ચોપડાનું કામ જોવા માટે પણ તમારે આ ફિલ્મ જોવા જવું જોઈએ. સાથે જ એક દમદાર કલાકાર તરીકે જાયરા વસીમે આ ફિલ્મ પાછળ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. શોનાલી બોસના નિદર્શનમાં બનેલી આ ફિલ્મ આંખોમાં આંસુ લાવી દે છે, ગળુ રૂંધાઈ જાય છે છતાં મોઢે સ્મિત પણ રેલાવી જાય છે જેથી આ ફિલ્મને 3.5 સ્ટાર આપવા જોઈએ.
આ પણ જુઓ: પ્રિયંકા ચોપડાનું ઈન્ટીમેટ સીન, એકલામાં જુઓ આ વીડિયો