'એ ક્યારેય ના સીગરેટ પીતા હતા અને ના ક્યારેય દારુ', સિંગર કેકે વિશે રાહુલ વૈદ્યે કર્યો ખુલાસો
જાણીતા સિંગર રાહુલ વૈદ્યે કેકેના નિધન પર ટ્વિટ કરીને ઉંડુ દુઃખ વ્યક્ત કર્યુ અને તેમની લાઈફ વિશે કેટલીક મહત્વની વાતોનો ખુલાસો કર્યો છે.
કોલકત્તાઃ ફિલ્મ જગતના જાણીતા પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કેકેનુ 53 વર્ષની વયે મંગળવારે રાતે નિધન થઈ ગયુ. કેકે એક લાઈવ શો માટે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ગયા હતા જ્યાં શો દરમિયાન અચાનક તેમની તબિયત બગડી ગઈ. કેકેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનુ નિધન થઈ ગયુ. વળી, જાણીતા સિંગર રાહુલ વૈદ્યે કેકેના નિધન પર ટ્વિટ કરીને ઉંડુ દુઃખ વ્યક્ત કર્યુ અને તેમની લાઈફ વિશે કેટલીક મહત્વની વાતોનો ખુલાસો કર્યો છે.
'આ આઘાતથી ઘણુ વધુ છે'
રાહુલ વૈદ્યએ ટ્વિટ કરીને લખ્યુ, 'મેં હમણાં જ સાંભળ્યું કે સિંગર કેકેનુ નિધન થયુ છે. હે ભગવાન શું થઈ રહ્યુ છે! કેકે સર આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ વ્યક્તિઓમાંના એક હતા. 53 વર્ષની ઉંમર આ દુનિયા છોડવા માટે નથી. આ એક આઘાત કરતાં વધુ છે. તમારા આત્માને શાંતિ મળે સર.'
'મીડિયાની ધમાલથી દૂર હતા કેકે'
રાહુલ વૈદ્યે તેના બીજા ટ્વીટમાં લખ્યુ, 'સિંગર કેકેએ ક્યારેય સિગારેટ પીધી નથી અને ક્યારેય દારૂ પીધો નથી. મીડિયાની ધમાલથી દૂર, કેકે ખૂબ જ સાદુ જીવન જીવ્યા. તે સંપૂર્ણપણે પરિવારના માણસ હતા. જ્યારે પણ તેઓ મને મળ્યા ત્યારે તે ખૂબ જ પ્રેમ અને ખુલ્લા દિલથી મળ્યા. ભગવાન તમે બહુ ખોટુ કર્યુ છે. ઓમ શાંતિ.'
'એ યુવાનોનો અવાજ હતા'
સિંગર કેકેને યાદ કરીને રાહુલ વૈદ્યે અન્ય એક ટ્વીટમાં લખ્યું, 'ભારતીય ફિલ્મ સંગીતના અવાજમાં જો મોટો ફેરફાર લાવનાર કોઈ વ્યક્તિ હોય તો તે કેકે સર હતા. તે યુવાનોનો અવાજ હતા. તેમના ગીતોનો પ્રભાવ ઘણો હતો. બૉલિવૂડના મ્યુઝિક ડાયરેક્ટર્સ ઘણીવાર મને તેમની ગાવાની શૈલીમાંથી શીખવાનુ કહેતા. હું ભાગ્યશાળી છુ કે મને ઈન્ડિયન આઈડલ 1 દરમિયાન તેમના ગીતને ફરીથી બનાવવાનો મોકો મળ્યો.
'તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશુ'
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વિટ કરીને કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેકેના નિધન પર ટ્વિટ કર્યુ અને લખ્યુ, 'કેકે તરીકે જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળે અવસાન વિશે સાંભળીને દુઃખ થયુ. તેમના ગીતોએ લાગણીઓની વિશાળ શ્રેણીને રજૂ કરી હતી અને તે તમામ ઉંમરના લોકો સાથે સંકળાયેલા હતા. આપણે તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશુ. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ. ઓમ શાંતિ.'
'ભારતીય સંગીત માટે ખૂબ મોટી ખોટ'
વળી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યુ અને લખ્યુ, 'કેકે ખૂબ જ પ્રતિભાશાળી અને બહુમુખી ગાયક હતા. તેમનુ અકાળે અવસાન અત્યંત દુઃખદ છે અને ભારતીય સંગીત માટે મોટી ખોટ છે. પોતાના તેજસ્વી અવાજથી તેમણે અસંખ્ય સંગીત પ્રેમીઓના હૃદયમાં અમીટ છાપ છોડી છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ શાંતિ.