અઝાન વિવાદ: હવે આ એક્ટ્રેસે કર્યું છે અઝાન અંગે ટ્વીટ
સોનુ નિગમ બાદ હવે એક્ટ્રેસ અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અઝાન અંગે ટ્વીટ કર્યું છે.
સોનુ નિગમે અઝાનમાં ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકર પર આપત્તિ લેતું ટ્વીટ કર્યું હતું, એ વિવાદ ઘણો લાંબો ચાલ્યો હતો. અનેક લોકોની આલોચના બાદ આખરે સોનુએ ટ્વીટર જ છોડી દીધું હતું, પરંતુ તેઓ પોતાના અભિપ્રાય પર મક્કમ રહ્યાં હતા. હવે એક્ટ્રેસ અને સિંગર સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અઝાન અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે પણ ટ્વીટમાં અઝાનમાં ઉપયોગમાં લેવાતા લાડઉડસ્પીકર પર વાંધો લીધો છે અને લોકોના ટ્વીટના જવાબ પણ આપ્યા છે.
'આનાથી વધુ મોટી મૂર્ખામી કોઇ નથી'
સુચિત્રાએ અઝાન અંગે ટ્વીટ કરતાં લખ્યું છે, 'હું સવારે 4.45 વાગે ઘરે પહોંચી છું અને અઝાનના અવાજથી મારા કાન ફાટે છે. આનાથી વધુ મૂર્ખામીભરી વાત કોઇ ન હોય શકે, કે તમારી પર દબાણપૂર્વક કટ્ટરતાથી ધાર્મિકતા થોપવામાં આવે.'
સાર્વજનિક સ્પીકરની જરૂર નથી
સાથે જ અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું છે, હું બ્રહ્મમુહુર્તમાં ઊઠું છું, યોગા કરું છું, રિયાઝ કરું છું અને પોતાની રીતે પૂજા-પાઠ કરું છું. આ માટે મને કોઇપણ પ્રકારના સાર્વજનિક લાઉડસ્પીકરની જરૂર નથી. એક ટ્વીટના જવાબમાં તેમણે લખ્યું છે, યોગ્ય સમય પર અઝાન સામે મને કોઇ આપત્તિ નથી. પરંતુ સવારે 5 વાગ્યે આખા મહોલ્લાને આ અવાજથી ઉઠાવડવો એ સભ્ય નથી.
મળ્યું સમર્થન
સુચિત્રાના અઝાન અંગેના આ ટ્વીટને કેટલાક લોકોનું સમર્થન મળ્યું છે, તો કેટલાક તેમનો વિરોધ કરી રહ્યાં છે. ઘણાએ આ મુદ્દો સામે લાવવા બદલ સુચિત્રાનો આભાર પણ માન્યો છે. ઉલ્લેખનીય છે કે, સુચિત્રા કૃષ્ણમૂર્તિ એક્ટ્રેસ અને ગાયિકા છે, તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'કભી હાં કભી ના'માં જોવા મળી હતી.
સોનુ નિગમનો અઝાન વિવાદ
સોનુ નિગમે લગભગ 3 મહિના પહેલાં આ જ રીતે અઝાન અંગે ટ્વીટ કર્યું હતું. તેમનું આ ટ્વીટ ખૂબ વાયરલ થયું હતું, તેના પર બહોળા પ્રમાણમાં ચર્ચા અને હોબાળો થયો હતો. સોનુ નિગમ વિરુદ્ધ એક મૌલવી દ્વારા ફતવો પણ બહાર પાડવામાં આવ્યો હતો. જેની સામે જવાબ આપતાં સોનુએ મુંડન કરાવી નાંખ્યું હતું. અનેક સ્પષ્ટીકરણ છતાં સોશિયલ મીડિયા પર સોનુનો વિરોધ ચાલુ રહેતાં આખરે તેમણે પોતાનું ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ જ બંધ કરી દીધું હતું.