જાણીતા બંગાળી ફિલ્મ દિગ્દર્શક ઋતુપર્ણો ઘોષનું નિધન
કોલકાતા, 30 મે : જાણીતા ફિલ્મ દિગ્દર્શક ઋતુપર્ણો ઘોષનું આજે સવારે નિધન થઈ ગયું. તેઓ 49 વર્ષના હતાં. તેમનું નિધન હૃદયના હુમલાના કારણે થયું.
ઋતુપર્ણો ઘોષનો જન્મ 31મી ઑગસ્ટ, 1963ના રોજ થયોહતો. તેઓ બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ દિગ્દર્શક હતાં. તેમના પિતા પણ દસ્તાવેજી ફિલ્મોના દિગ્દર્શક હતાં. ઋતુપર્ણો ઘોષે પોતાનું કૅરિયર જાહેરખબર જગતથી કરી હતી. 1992માં તેમણે પ્રથમ વાર બાળ આધારિત હિરેર અંગ્તિ ફિલ્મ બનાવી હતી. તેમની બીજી ફિલ્મ ઉનીશે એપ્રિલ એટલે કે 19 એપ્રિલ હતી. આ ફિલ્મ માટે તેમને 1995માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનું રાષ્ટ્રીયપુરસ્કાર મળ્યુ હતું.
બંગાળના આ ફિલ્મ દિગ્દર્શકે દહન, ઉત્સબ, ચોખેર બાલી, અસુખ, બારીવલી, અંતરમહલ અને રેનકોટ જેવી શાનદાર ફિલ્મો બનાવી. તેમને અત્યાર સુધી 10 જેટલાં રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચુક્યા હતાં. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની બારીવલી ફિલ્મને નેપટૅક ઍવૉર્ડ અપાયો હતો.
સને 2008માં તેમની ફિલ્મ ધ લાસ્ટ લીયરને સર્વશ્રેષ્ઠ અંગ્રેજી ફિલ્મનું રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યું. ઉત્પલ દત્તના આજકેર શાહજહાં નાટક પર આધારિત ધ લાસ્ટ લીયર ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત પ્રીતિ ઝિંટા તેમજ અર્જુન રામપાલ અને શેફાલી શાહ તથાદિવ્યા દત્તાએ પણ અભિનય કર્યો છે. 2009માં આવેલી શોબ ચરિત્રો કાલ્પોનિક ફિલ્મને સર્વશ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો. 2010માં ઋતુપર્ણો ઘોષને અબોહોમાન ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રીય ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો. તેઓ ટુંકમાં જ બૉલીવુડ કૅરિયર પણ શરૂકરવાના હતાં.