વાતે-વાતે ગર્જતું બૉલીવુડ પાકિસ્તાન મુદ્દે મૌન કેમ?
મુંબઈ, 11 જાન્યુઆરી : પાકિસ્તાની સૈન્ય દ્વારા ભારતીય સૈન્યના બે જવાનોના માથા ઉડાડી દેવાના બનાવ બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નિકળ્યો છે. ટ્વિટર અને ફેસબુક પર પાકિસ્તાન વિરુદ્ધ લોકોમાં ગુસ્સાની લહેર દોડી રહી છે, પરંતુ આપણું બૉલીવુડ આંખ આડા કાન કેમ કરી રહ્યું છે. અણ્ણા હઝારેના આંદોલનથી માંડી દિલ્હી ગૅંગ રેપ જેવા મુદ્દે સડકો અને શેરીઓમાં ઉતરનાર બૉલીવુડ તરફથી પાકિસ્તાન વિરુદ્ધ એક પણ નિવેદન નથી આયું. ક્યાં ખોવાઈ ગયા મહેશ ભટ્ટો, આમિર-સલમાન-શાહરુખ ખાનો, કૅટરીનાઓ-કરીનાઓ. શું બૉલીવુડ પાકિસ્તાનથી બીવે છે?
જવાબ એક જ છે - બૉલીવુડ પડોસી દેશથી બીવે છે. આ ભય છે પાકિસ્તાનમાંથી મળથી અઢળક કમાણી ગુમાવવાનો. આપણે શરુઆત આમિર ખાનની ફિલ્મ તલાશના દાખલાથી જ કરીએ. બૉક્સ ઑફિસ રિપોર્ટ મુજબ તલાશ ફિલ્મે પહેલાં જ દિવસે પાકિસ્તાનમાંથી અઢી કરોડની કમાણી કરી. ફિલ્મ લગભગ 25 દિવસ સુધી પાકિસ્તાની થિયેટરોમાં ચાલી. આ દરમિયાન ફિલ્મે 50 કરોડથી વધુ કમાવ્યાં. 3 ઈડિયટ્સ, દબંગ, સિંહ ઇઝ કિંગ, માય નેમ ઇઝ ખાન, રબ ને બના દી જોડી જેવી ફિલ્મો હોય, તો પ્રૉફિટ હજુ વધું રહે છે. તેથી તેમાં કોઈ શંકા નથી કે બૉલીવુડની કમાણીની સારી એવી ટકાવારી પાકિસ્તાનમાંથી આવે છે.
પાકિસ્તાન વિરુદ્ધ હરફ સુદ્ધા ન ઉચ્ચાવાનું બીજું કારણ છે ટેલીવિઝન શો કે જેમાં પાકિસ્તાની કલાકારોને લેવાય છે. અહીં આપણે વાત કરીશે સુર ક્ષેત્રની કે જેમાં તમામ પાકિસ્તાની કલાકારોને આમંત્રણ અપાયુ હતું. આ અગાઉ પણ આતિફ અસલમ, અદનાન સામી, રાહત ફતેહ અલી ખાન વગેરેને બૉલીવુડમાં અનેક સન્માન અપાઈ ચુક્યાં છે. વીણા મલિક અને મોના લિજ્જા જેવી અભિનેત્રીઓ પણ બૉલીવુડમાં સક્રિય છે.
બાળા સાહેબ ઠાકરેની વિચારસરણીને આગળ વધારતાં શિવસૈનિકોએ અનેક વખત આવા કાર્યક્રમોનો વિરોધ કર્યો, પરંતુ સરકાર કંઈ બોલી નહીં. ઉપરથી પાકિસ્તાની ક્રિકેટ ટીમને બોલાવાઈ. સરવાળે જોવા જઇએ તો ભારતમાં માત્ર બૉલીવુડ અને પોતે ભારત સરકાર જ છે કે જે પાકિસ્તાન સાથે મૈત્રીનો હાથ આગળ ધરવા માંગે છે, બાકી દેશ તેની વિરુદ્ધ છે. હવે તો નોબત અહીં સુધી આવી ગઈ છે કે અહિંસાવાદી અણ્ણા હઝારે સુદ્ધા જંગ કરવાની વાત કરવાં લાગ્યાં છે. તેવી પરિસ્થિતિમાં બૉલીવુડ અને ભારત સરકારનું લોહી ક્યારે ગરમ થશે?