મુંબઈ, 4 જાન્યુઆરી : ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનું ગઈકાલે એટલે કે 3જી જાન્યુઆરી, 2015ની મોડી રાત્રે મુંબઈમાં નિધન થઈ ગયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા.
ગુજરાતી રંગભૂમિ અને ખાસ તો ગુજરાતી ફિલ્મોમાં તેમનું માતબર પ્રદાન રહ્યું. રંગભૂમિ તેમનું અભિનય સમ્રાટ નાટક ક્યારેય નહિ ભૂલે. તેમણે અનેક યાદગાર ફિલ્મો પણ આપી. ગુજરાતી ફિલ્મોના નામે મો મચકોડતા, સુધરી ગયેલા લોકોને ખબર નથી કે એ વખતના પ્રેક્ષકોને રસ પડે તેવી અનેક ફિલ્મો તેમણે કરી હતી. અનેક ઐતિહાસિક ફિલ્મોમાં તેમણે ભૂમિકા ભજવી.
અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદનો ચિક્કાર ભરાયેલું રા.વિ. પાઠક સભાગૃહમાં તેમણે ઝવેરચંદ મેઘાણીની 'રાંકનું રતન રોળાયું' જેવી બરકટ કૃતિને, જૈફ વયે પણ પોતાના જાનદાર- શાનદાર અભિનયથી જીવંત કરી ત્યારે આ તસવીરો આલાપ તન્નાએ લીધી હતી.
ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર-જગતનાં લોકલાડીલા અભિનેતા, સાહિત્ય-લોકસાહિત્યનાં મર્મી, સમાજ-સેવક અને ગુજરાતનાં પૂર્વ-ધારાસભ્ય તથા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત મહાન વ્યક્તિ હતાં. તેમણે ગઈકાલે રાત્રે 12.15 વાગે આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સાહિત્યના અભ્યાસુ અને તેમની પ્રત્યે અપાર લાગણી અને આદરભાવ ધરાવતા `અભિનય સમ્રાટ' ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ મેઘાણીની કૃતિઓનાં અનેક અમર પાત્રોને રૂપેરી-પડદે અને તખ્તા પર બખુબી જીવંત કર્યા. ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે ઉપેન્દ્રભાઈને સાંભળવા એક લ્હાવો હતો.