આજની પેઢીને પણ ગમશે બુનિયાદ : રમેશ સિપ્પી
મુંબઈ, 22 જુલાઈ : દૂરદર્શન ઉપર 27 વરસ પહેલા પ્રસારિત થયેલ લોકપ્રિય શ્રેણી બુનિયાદ છઠી વાર પુનઃ પ્રસારિત થવાની છે. ફિલ્મ નિર્માતા રમેશ સિપ્પી આ બાબતથી બહુ ખુશ છે અને આશા સેવા છે કે આ શ્રેણી આજની પેઢીને પણ એટલી જ ગમશે.
સિપ્પીએ જ્યોતિ સરૂપ સાથે આ શ્રેણીનું સહ-દિગ્દર્શન કર્યુ હતું. કાર્યક્રમને પુનઃ શરૂ કરવા અંગે યોજાયેલ પાર્ટીમાં રમેશ સિપ્પીએ જણાવ્યું - હું આશા સેવુ છું કે આ શ્રેણી આજના યુવાનોને પણ એટલી જ ગમશે કે જેટલી તે વખતની યુવા પેઢીને ગમતી હતી. જો આજની પેઢી આ શ્રેણીને પસંદ ન કરે, તો કોઈ વાંધો નથી, કારણ કે આજના દર્શકો ખૂબ જ જુદાં છે. જોકે આજે પણ એ દર્શકો મોજૂદ છે કે જેમણે સત્યાવીસ વરસ પહેલા આ શ્રેણી જોઈ હશે. તેઓ જરૂર આ શ્રેણી જોવા માંગશે.
પાર્ટીમાં શ્રેણીના તમામ કલાકારો હાજર હતાં. શ્રેણીમાં સ્વાતંત્ર્ય સેનાની માસ્ટર હવેલીરામની ભૂમિકા ભજવનાર આલોક નાથ પણ શ્રેણીના પુનઃ પ્રસારણથી ખુશ છે. આલોક નાથે જણાવ્યું - તે વખતે બુનિયાદ શ્રેણી ખૂબ જ પ્રેમથી બનાવાઈ હતી. એમ કહેવું ખોટું નહિં હોય કે તે વખતે અમે શીખનાર બાળકોની જેમ હતાં. હકીકતમાં બુનિયાદ અમારા જીવનની બુનિયાદ બની ગઈ. તેનાથી અમે મજબૂત બન્યાં. એટલે જ અમે આજે આટલા મજબત, દૃઢ સંકલ્પી છીએ અને સારૂં કામ કરી રહ્યાં છીએ.
બુનિયાદ શ્રેણી દૂરદર્શન ઉપર જ આગામી 25મી જુલાઈથી પ્રસારિત થનાર છે. મનોહર શ્યામ જોશી લેખિત આ શ્રેણી 1947માં ભારતના વિભાજન તેમજ તે બાદની પરિસ્થિતિને દર્શાવે છે. 1986માં તેનું પ્રથમ વાર પ્રસારણ થયુ હતું. ત્યાર બાદ બીજી ચૅનલોએ અનેક વાર તેનું પુનઃ પ્રસારણ થઈ ચુક્યું છે.