યારી હૈ ઈમાન... દ્વારા પ્રાણને અપાઈ શ્રદ્ધાંજલિ
મુંબઈ, 18 જુલાઈ : ટેલીવિઝન રિયલિટી શો ઝલક દિખલા 6માં પ્રસિદ્ધ અભિનેતા પ્રાણને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી. પ્રાણનું ગત 12મી જુલાઈના રોજ નિધન થઈ ગયુ હતું.
ગાયક શાન કે જેમનો ઝલક દિખલા જા શોના 10 સ્પર્ધકોમાં સમાવેશ થાય છે, તેમણે ઝંજીર ફિલ્મના પ્રાણ તેમજ અમિતાભ બચ્ચન ઉપર ફિલ્માવાયેલ યારી હૈ ઈમાન મેરા યાર મેરી ઝિંદગી... ગીત ગાયું. સૌ સ્પર્ધકો તેમજ નિર્ણાયકો એક સાથે મંચ ઉપર હાજર થયાં અને એલઈડી સ્ક્રીન ઉપર બૉલીવુડના સૌથી ચહેતા ખલનાયકના ચિત્રોનું સંગ્રહ રજૂ કરાયું.
ઝલક દિખલા જા શો સાથે સંકળાયેલ એક સૂત્રે જણાવ્યું - આ ખૂબ જ લાગણીશીલ ક્ષણો હતી અને નિર્ણાયકો તેમજ સ્પર્ધકોએ પ્રાણ સાહેબને એક સાથે યાદ કર્યાં. આ એપિસોડ આ સપ્તાહાંતે જોઈ શકાશે.
નોંધનીય છે કે ઝલક દિખલા જા શોના નિર્ણાયકો રેમો ડિસૂઝા, માધુરી દીક્ષિત તેમજ કરણ જૌહર છે. સ્પર્ધકોમાં શાન ઉપરાંત કરણવીર બોહરા, સિદ્ધાર્થ શુક્લા, કરણ પટેલ, દૃષ્ટિ ધામી, મુક્તિ મોહન, સના સઈદ, આરજે મંત્રા, નર્તકી લૉરેન ગોટલેબ તથા સોનાલી તેમજ સુમંતનો સમાવેશ થાય છે.