આ એક્ટ્રેસને કારણે કપિલથી નારાજ છે નવજોત સિંહ સિદ્ધુ
કપિલ શર્માથી નારાજ છે નવજોત સિંહ સિદ્ધુ, જાણો કેમ?
નવજોત સિંહ સિદ્ધુની તબિયત બગડતાં તેમણે થોડા દિવસ માટે 'ધ કપિલ શર્મા શો'માંથી બ્રેક લીધો છે. આ દિવસો દરમિયાન સિદ્ધુના સિંહાસન પર અર્ચના પૂરણ સિંહ બિરાજમાન થયેલ જોવા મળશે. સિદ્ધુની તબિયત બગડતાં કપિલ શર્માએ જ અર્ચનાને ફોન કરી શો પર આવવા રિક્વેસ્ટ કરી હતી, જે અર્ચનાએ સ્વીકારી હતી. પરંતુ કપિલના આ નિર્ણયથી નવજોત સિંહ સિદ્ધુ ખાસ ખુશ નથી.
અર્ચના પૂરણ સિંહ
આ અંગે આઇએએનએસ સાથે વાત કરતાં અર્ચના પૂરણ સિંહે કહ્યું હતું કે, 'સિદ્ધુજીની ખુરશી પર બેસવું મને થોડું અજીબ લાગ્યું, કારણ કે આપણે પહેલેથી તેમને જ એ સિંહાસન પર જોયા છે. કપિલે મને શૂટિંગના દિવસે જ ફોન કર્યો હતો અને હું એને ના ન પાડી શકી, કારણ કે અમે ઘણા જૂના મિત્રો છીએ.' કપિલ શર્મા જ્યારે 'કોમેડી સર્કસ'માં આવતા હતા ત્યારે અર્ચના એ શોના જજ હતા.
સિદ્ધુ સંભાળશે સિંહાસન
સાથેજ અર્ચનાએ સ્પષ્ટ કર્યું હતું કે, તે માત્ર થોડા દિવસ માટે જ આ શો પર છે અને એકવાર સિદ્ધુ સ્વસ્થ થઇને પરત ફર્યા બાદ તેઓ જ પાછા પોતાનું સિંહાસન સંભાળશે. તેણે આગળ જણાવ્યું હતું કે, તે કપિલના શોને મિસ કરશે અને ફરીથી તેના ફોનની રાહ જોશે.
સિદ્ધુ છે કપિલથી નારાજ
રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધુએ કપિલને પોતાની જગ્યાએ અર્ચનાને શો પર બોલાવવાની ના પાડી હતી. આમ છતાં, કપિલે અર્ચનાને શો પર આમંત્રણ આપતાં સિદ્ધુ કપિલથી નારાજ છે. નવજોત સિંહ સિદ્ધુ તાવ આવવાને કારણે થોડા દિવસ શોનું શૂટિંગ નહોતા કરી શક્યાં, પરંતુ 17-18 ઓગસ્ટથી તેઓ કપિલ શર્માને તેના સેટ પર ફરીથી જોઇન કરશે.
કપિલની વધતી મુસીબતો
આ પહેલાં પણ નવજોત સિંહ સિદ્ધુ ઇલેક્શનના કારણે શો પર હાજર નહોતા રહી શક્યા, ત્યારે કપિલે સિદ્ધુના પોસ્ટર અને કટ-આઉટ ખુરશી પર મુકીને શૂટિંગ કર્યું હતું. પરંતુ, સુનીલ ગ્રોવરની ગ્રાન્ડ એક્ઝિટ બાદ હવે કદાચ કપિલ પોતાના શોમાં કોઇ ચાન્સ નથી લેવા માંગતા. આશા રાખીએ કે, અર્ચનાને શો પર બોલાવવાના નિર્ણયની કપિલે કોઇ મોટી કિંમત ન ચૂકવવી પડે