કોરોના નિયમો માટે અમદાવાદ અને રાજકોટ પોલિસે બહાર પાડ્યુ જાહેરનામુ, જાણો પ્રતિબંધમાં કેટલી મળી છૂટ
કેન્દ્ર અને રાજ્ય સરકાર બાદ હવે આ ક્રમમાં અમદાવાદ અને રાજકોટ પોલિસે પણ જાહેરનામુ બહાર પાડીને અમુક છૂટછાટ આપી છે.
અમદાવાદઃ કોરોના વાયરસની બીજી લહેરમાં દેશમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા પરંતુ હાલમાં કોરોના વાયરસનુ સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યુ છે. કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશ અને રાજ્યમાં જેમ જેમ કેસ ઓછા થાય તેમ લૉકડાઉન અને નાઈટ કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી રહી છે. કોરોનાના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જાહેરનામા બહાર પાડીને કોરોના પ્રતિબંધોમાં અમુક છૂટ આપી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર બાદ હવે આ ક્રમમાં અમદાવાદ અને રાજકોટ પોલિસે પણ જાહેરનામુ બહાર પાડીને અમુક છૂટછાટ આપી છે. અમદાવાદમાં આજ(26 જૂન)થી આગામી 10 જુલાઈ સુધી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે. વળી, સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી વેપારીઓ ધંધા રોજગાર ખુલ્લા રાખી શકશે. આ વખતે સિનેમાઘરો માટે પણ રાહતના સમાચાર છે. જેમાં સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
જીમ જતા લોકો માટે ખુશખબર છે. જીમ પણ હવે 60 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. લગ્ન સમારંભમાં હવે 100 લોકો હાજરી આપી શકશે. વળી, અંતિમ ક્રિયા માટે હવે 40 લોકોની મંજૂરી આપવામાં આવી છે. રાજકોટની વાત કરીએ તો હવે નાઈટ કર્ફ્યુનો સમય એક કલાક વધારીને રાતના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. વળી, હવે દુકાનો રાતે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.