અમદાવાદની અસારવા અને સોલા સિવિલ સ્ટાફમાં 29 લોકો કોરોના સંક્રમિત
અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરો, નર્સ સહિત 29 ફ્રંટ લાઈન કોરોના વૉરિયર્સ સંક્રમિત થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે. કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસનુ સંકટ વધી રહ્યુ છે. અમદાવામાં મોટી સંખ્યામાં હૉસ્પિટલનો સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે. ફ્રંટ લાઈન વૉરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરો, નર્સ સહિત 29 ફ્રંટ લાઈન કોરોના વૉરિયર્સ સંક્રમિત થયા છે. અસારવા સિવિલમાં 22 અને સોલા સિવિલમાં 7 વૉરિયર્સ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
સિવિલમાં સંક્રમિત થયેલા ડૉક્ટર હોમ આઈસોલેટ થયા છે. ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ સંક્રમિત થતા હૉસ્પિટલના અન્ય સ્ટાફમાં પણ ડરનો માહોલ છે. મેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થતા હૉસ્પિટલના ફ્રંટલાઈન કોરોના વૉરિયર્સમાં ફફડાટ ફેલાયો છે. મોટી સંખ્યામાં મેડિકલ સ્ટાફ સંક્રમિત થતા અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર ટીમમાં ઘટાડો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 10 જાન્યુઆરીના રોજ નવા 6097 કેસ નોંધાયા છે અને કોરોનોના કારણે બે વ્યક્તિના મોત નીપજ્યા છે.
વળી, કોરોનાના નવા વેરિઅંટ ઓમીક્રૉનના નવા 25 કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 32469 થઈ ગઈ છે. રાજ્યમાં નોંધાયેલા કોરોના કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 1893, સુરતમાં 1778, વડોદરામાં 410, વલસાડમાં 251, રાજકોટમાં 191, ગાંધીનગરમાં 131, ખેડામાં 126, સુરતમાં 114, મહેસાણામાં 111, કચ્છમાં 109, નવસારીમાં 107, ભાવનગરમાં 93, આણંદમાં 88, ભરુચમાં 78, ગાંધીનગર જિલ્લામાં 64, વડોદરા જિલ્લામાં 60, રાજકોટ જિલ્લામાં 58, મોરબીમાં 51, જામનગરમાં 47, જૂનાગઢમાં 33 કેસ નોંધવામાં આવ્યા છે.