અમદાવાદના નાગરિકો પર વધશે સફાઈનો બોજ, યુઝર ચાર્જ વધારવા માટે કરાઈ દરખાસ્ત
નાગરિકો પાસેથી લેવાતા યુઝર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી છે.
અમદાવાદઃ AMC(અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ શહેરમાં સફાઈ અને સેનિટેશન ચાર્જ નાગરિકો પાસેથી લેવામાં આવે છે. જે હેઠળ હવે નાગરિકો પાસેથી લેવાતા યુઝર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી છે. અમદાવાદના નાગરિકો પર સફાઈના નામે ટેક્સ વધારવાની કવાયત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રહેણાંક મિલકતમાં પ્રતિદિન 3 રૂપિયા અને કોમર્શિયલમાં 5 રૂપિયા યુઝર ચાર્જ લેવામાં આવશે. આ મુજબ હવે અમદાવાદીઓ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત યુઝર ચાર્જ હેઠળ રહેણાંક મિલકતો પર વર્ષે 1095 અને કોમર્શિયલ મિલકતો માટે વર્ષે 1825 રૂપિયા વસૂલ કરવામાં આવશે. અત્યાર સુધી એએમસી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે અલગથી રહેણાંક મિલકતો પાસેથી પ્રતિ દિન 1 રૂપિયા લેખે વાર્ષિક 365 રૂપિયા અને કોમર્શિયલ મિલકતો પાસેથી પ્રતિ દિન 2 રૂપિયા લેખે વાર્ષિક 730 રૂપિયાનો યુઝર ચાર્જ લેવામાં આવતો હતો.
સ્વચ્છતા સર્વેક્ષણ 2022માં નાગરિકોને પૂરી પાડવાાં આવતી સફાઈ અને સેનિટેશન સુવિધાના યુઝર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લેવામાં આવી છે જેમાં હવે વધારો કરીને રહેણાંક મિલકતોમાં પ્રતિદિન 3 રૂપિયા અને કોમર્શિયલમાં 5 રૂપિયા લેવા માટે જણાવવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારાયેલ સફાઈ ટેક્સ મુદ્દે વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે આ દરખાસ્તનો વિરોધ કરવા જણાવ્યુ અને આ બાબતે મેયરને આવેદનપત્ર આપવાની વાત કહી છે.