અમદાવાદમાં વાયુ પ્રદૂષણ દિલ્લી કરતા પણ વધુ, એર ક્વૉલિટી ઈન્ડેક્સ સરેરાશ 311 પર પહોંચ્યો
દેશ અને રાજ્યમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જાણો વિગત.
અમદાવાદઃ દેશ અને રાજ્યમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરોમાં વધી રહેલ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની રહી છે. દેશની રાજધાની દિલ્લી કરતા પણ હવે અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. અમદાવાદમાં AQIનો આંકડો 311 પર પહોંચી ગયો છે. પૂર્વ વિસ્તારમાં આવેલા કેમિકલ ઉદ્યોગોના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂર્વની સાથે-સાથે પશ્ચિમ વિસ્તારોમાં પણ પ્રદૂષણ વધુ જોવા મળી રહ્યુ છે. પીરાણામાં 275 AQI, નવરંગપુરામાં 307 AQI, રાયખડમાં 320 AQI, ચાંદખેડામાં 181 AQI, બોપલમાં 313 AQI, સેટેલાઈટમાં 202 AQI, એરપોર્ટમાં 287 AQI અને લેકવાડમાં 357 સુધી પહોંચી ગયો છે. શહેરમાં સરેરાશ 311 AQI જોવા મળ્યો છે જે ખૂબ જ વધુ કહી શકાય.
શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બોપલ, સેટેલાઈટ, ઈસ્કોન, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં એર ક્વૉલિટી સતત ખરાબ થઈ રહી છે. વળી, શહેરના ચાંદખેડા, પીરાણા, રખિયાલ, રાયખડ અને એરપોર્ટ સહિતના વિસ્તારમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ બતાવી રહ્યો છે કે શહેરમાં પ્રદૂષણની માત્રા ખૂબ વધી ગઈ છે. જેના કારણે બાળકોમાં, વૃદ્ધોમાં અસ્થમાના રોગોનુ પ્રમાણ વધે છે તેમજ સ્વચ્છ હવા ન મળવાના કારણે આરોગ્ય પણ જોખમાય છે. એર ક્વૉલિટી ઈન્ડેક્સની વેબસાઈટ મુજબ અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ ખૂબ વધ્યુ છે. આ આંકડો 100ની આસપાસ હોય તો એ હવા પ્રમાણમાં સારી ગણાય. જ્યારે 50ની નીચે રહે તો ઉત્તમ ગણાય. એર ક્વૉલિટી ઈન્ડેક્સની વેબસાઈટ મુજબ અમદાવાદની હવા ઝેરી બની રહી છે.
ઉલ્લેખનીય છે કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ છેલ્લા બે વર્ષમાં કેટલાક શહેરોમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ(AQI)માં સુધારો નોંધાયો છે જ્યારે અમુક શહેરોમાં પ્રદૂષણનુ સ્તર ભયજનક રીતે વધી ગયુ છે. અમદાવાદ સહિત દેશના 31 શહેરોમાં પ્રદૂષણનુ સ્તર ખૂબ જ વધી ગયુ છે. તમને જણાવી દઈએ કે આ ડેટા દેશના 123 શહેરના છે જે NCAP હેઠળ પાંચ વર્ષથી હવાની ગુણવત્તાના નિર્ધારિત ધોરણોને સંતોષવામાં નિષ્ફળ રહ્યા છે. દિલ્લી ઉપરાંત અમદાવાદ, અમૃતસર, લુધિયાણા, આગ્રા, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, જમ્મુ, શ્રીનગર, ઈંદોર, થાણે અને હૈદરાબાદના PM10ના સ્તરમાં વધારો નોંધવામાં આવ્યો હતો. 2020-21માં જે 96 શહેરની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો અથવા PM10નુ સ્તર ઘટ્યુ તેમાં નોઈડા, મેરઠ, લખનઉ, કાનપુર, દહેરાદૂન, ઋષિકેશ, વારાણસી, પટના, ચંદીગઢ, જયપુર, જોધપુર, રાયપુર, સુરત, રાંચી, કોલકત્તા, હાવડા, બેંગલુરુ, ઔરંગાબાદ અને નવી મુંબઈનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રનો લેટેસ્ટ રિપોર્ટ હમણાં જ રિલીઝ થઈ ચૂક્યો છે જે મુજબ તમામ વિશેષજ્ઞોનુ માનવુ છે કે એડપ્ટેશન કે અનુકૂળ ઉત્સર્જમાં ઘટાડાનો વિકલ્પ નથી. વાસ્તવિકતા તો એ છે કે જો તાપમાનમાં વધારો આ પ્રમાણે જ ચાલતો રહ્યો તો દુનિયાને ઝડપથી એવા ફેરફારોનો સામનો કરવો પડશે જેના પ્રત્યે એડપ્ટ કે અનુકૂળ કરી શકાશે નહિ.
વધતા ગ્લોબલ વૉર્મિંગની શું થશે અસર
વધતા ગ્લોબલ વૉર્મિંગના કારણે ભારતના હિમાલયી ક્ષેત્રમાં ડેંગ્યુ અને મેલેરિયા ફેલાઈ રહ્યો છે. શહેરી ભારતમાં ગ્લોબલ વૉર્મિંગનુ જોખમ છે. વધુ ચરમ હવામાન અને બિમારી ફેલાવાના પરિણામ સ્વરૂપ અસ્વસ્થતા અને અકાળ મૃત્યુમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. વળી, બધા 51 એશિયાઈ દેશોમાં વૉર્મિંગ સાથે-સાથે ચિંતા અને તણાવ જેવા માનસિક આરોગ્ય પડકારો પણ વધવાનુ અનુમાન છે. હિમાલયની નાજુક પ્રણાલી વૉર્મિગના કારણે બહુ જલ્દી જોખમમાં આવી શકે છે અને ફરીથી ચમોલી જેવી કુદરતી આફતો આવી શકે છે. ગ્લેશિયરો પીગળવાથી હિમાલયમાં રહેતા લોકોને પાણીની અછત પડી શકે છે. દરિયાકિનારાના શહેરોમાં માળખાગત ઢાંચાને નુકશાન થઈ શકે છે. હીટવેવ અને વરસાદના કારણે થતા પૂર ગંભીર થઈ શકે છે. ભારે વરસાદ, વાવાઝોડા અને દુષ્કાળથી લોકો પોતાના ઘર છોડવા માટે મજબૂર બની શકે છે.
અમુક શહેરોએ લીધા છે આ પગલાં
ડૉ. અરોમર રેવીના જણાવ્યા મુજબ ભારત અને બાંગ્લાદેશ જેવા દેશો માટે આ દિશામાં પરિવર્તન લાવવા માટે એક મોકો છે જેનો ફાયદો ના ઉઠાવ્યો તો બંને દેશોની જળવાયુ સમસ્યા વધશે. ભારતના અમુક શહેરો જેવા કે સુરત, ભુવનેશ્વર અને ઈંદોર એડોપ્ટેશન યોજના બનાવી ચૂક્યા છે. તેમણે પોતાના લોકોને જળવાયુ પરિવર્તન પ્રત્યે સજાગ પણ બનાવ્યા છે પરંતુ તે એક જ જોખમ પર કેન્દ્રીત છે. જેમ કે, ઈંદોર માત્ર પાણીની અછતને જુએ છે.