AMC સંચાલિત LG હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી નવજાતના મોતનો આક્ષેપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એલજી હોસ્પિટલના સ્ટાફની બેદરકારી સામે આવી છે.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એલજી હોસ્પિટલના સ્ટાફની બેદરકારી સામે આવી છે. પ્રસૂતિ વિભાગના સ્ટાફની બેદરકારીથી નવજાતના મોતનો આક્ષેપ થઈ રહ્યો છે. મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા એલજી હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સ્ટાફ દ્વારા ઉડાઉ જવાબો આપીને મહિલાને પાછી મોકલી દેવામાં આવી હતી. હોસ્પિટલના પરિસરમાં પહોંચતા જ મહિલાની પ્રસૂતિ થઈ ગઈ હતી.
પ્રસૂતિ બાદ ગણતરીના સમયમાં જ નવજાતનુ મોત નીપજ્યુ છે. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. મહિલા અને મૃત બાળકને સારવાર માટે લઈ જવાયા હતા. એલજી હોસ્પિટલના સ્ટાફે પુરાવાનો પણ નાશ કરવાનો પ્રયત્ન કર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ મહિલા હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે અને તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલે જણાવ્યા મુજબ આ બાળક પ્રીમેચ્યોર હતુ અને મહિલાને એડમિટ થવા માટે જણાવવામાં આવ્યુ હતુ પરંતુ તેઓ જતા રહ્યા હતા અને પછી આ ઘટના બની હતી. હોસ્પિટલે તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા.
એલજી હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા મુજબ મહિલાને ચાર મહિનાની પ્રેગ્નેન્સી હતી અને દુઃખાવા બાદ તે હોસ્પિટલમાં બતાવવા આવ્યા હતા. ત્યારબાદ ડૉક્ટરે ચેક કરી તેમને સોનોગ્રાફી કરાવવા અને દાખલ થવા માટે કહ્યુ હતુ. મહિલાએ સોનોગ્રાફી કરાવી પરંતુ દાખલ થયા નહિ. હોસ્પિટલ પ્રશાસન દ્વારા પણ હજુ વધુ તપાસ ચાલી રહી છે. જો હોસ્પિટલની બેદરકારી હશે તો પગલાં લેવામાં આવશે. હાલમાં મહિલાની સારવાર ચાલુ છે.