અમદાવાદમાં કોરોના કેસોમાં ધરખમ વધારો, 9837 નવા કેસ, સાત દર્દીના મોત
અમદાવાદમાં ગુરુવારે કોરોનાના નવા 9837 કેસ નોંધાયા હતા જ્યારે સાત દર્દીના મોત થયા હતા.
અમદાવાદઃ અમદાવાદમાં ગુરુવારે કોરોનાના નવા 9837 કેસ નોંધાયા હતા જ્યારે સાત દર્દીના મોત થયા હતા. 3664 દર્દીઓ રિકવર થયા હતા. એસવીપી હૉસ્પિટલમાં કોરોનાના 114 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 45 દર્દી ઑક્સિજન અને આઈસીયુ બેડમાં સારવાર લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બુધવારે શહેરમાં 8391 નવા કેસ આવ્યા હતા અને 6 દર્દીઓના મોત થયા હતા.
મ્યુનિસિપલ તંત્ર દ્વારા નવા 41 કોરોના સંક્રમિત સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા. સાઉથ બોપલ, સેટેલાઈટ, નવરંગપુરા, આંબાવાડી, બોડકદેવ સહિત 23 સંક્રમિત સ્થળોનો નવા માઈક્રોકન્ટેઈનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ ઝોનમાં આવેલા મણિનગર, ભૈરવનાથ, વટવા ઉપરાંત નારોલ, ખોખરા, ઘોડાસર અને દાણીલીમડામાં કોરોનાના કેસ વધતા નવા દસ સ્થળ માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
પશ્ચિમના આંબાવાડી, નવરંગપુરા, સાબરમતી, મોટેરા અને રાણીપ વિસ્તારમાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાતા પશ્ચિમ ઝોનમાં નવા દસ સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા હતા. ઉત્તર-પશ્ચિમ ઝોનના સાયન્સ સિટી, બોડકદેવ અને ગોતામાં સંક્રમણ વધતા નવા ત્રણ સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. શહેરમાં હાલમાં કુલ 131 સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ છે.
રસીકરણની વાત કરીએ તો મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ગુરુવારે શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી 6182 લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ, 13193 લોકોને બીજો ડોઝ અને 7174 લોકોને રસીનો પ્રિકોશન ડોઝ મળીને 26549 લોકોને રસી આપવામાં આવી હતી. 15થી 18 વર્ષની વયના 2610 બાળકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી.