રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર બેકાબુ, રાતે 12 વાગ્યા પછી લાગુ થશે નવી ગાઈડલાઈન્સ
આજે નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણોની ગાઈડલાઈન્સનો સમય પૂરો થઈ રહ્યો છે. રાતે 12 વાગ્યા પછી નવી ગાઈડલાઈન્સ લાગુ કરવામાં આવશે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર બેકાબુ બની ગઈ છે. કોરોના વાયરસના કેસો રોજેરોજ વધી રહ્યા છે. આજે નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણોની ગાઈડલાઈન્સનો સમય પૂરો થઈ રહ્યો છે. રાતે 12 વાગ્યા પછી નવી ગાઈડલાઈન્સ લાગુ કરવામાં આવશે. આજે નવી SOP જાહેર થવાની પૂરી સંભાવના છે. નવી ગાઈડલાઈન્સમાં નાઈટ કર્ફ્યુના શહેરોમાં ઉમેરો કરવામાં આવી શકે છે તેમજ નાઈટ કર્ફ્યુનો સમય 9થી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં 14 જાન્યુઆરીના રોજ કુલ 10019 કેસ નોંધવામાં આવ્યા હતા. 4831 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને ગઈ કાલમાં દિવસમાં કોરોનાથી 2 મોત નોંધવામાં આવ્યા હતા. ઉત્તરાયણના કારણે ટેસ્ટિંગ કરાવતા લોકોની સંખ્યા ઘટી છે જેના કારણે 14 જાન્યુઆરીના રોજ 10019 કેસ નોંધાયા હતા પરંતુ હવે કેસોમાં ઉછાળો આવી શકે છે. જો 14,300થી વધુ કેસો નોંધાશે તો બીજી લહેર પણ તૂટી જશે. રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં કુલ 75181 કોરોના કેસ નોંધવામાં આવ્યા છે અને કોરોનાથી કુલ 26 મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં ઘણા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ છે. દુકાન-વેપાર-ધંધા રાતે 10 વાગ્યા સુધી ચાલુ છે. હોટલ અને રેસ્ટોરાં 75 ટકાની ક્ષમતા સાથે રાતે 10 વાગ્યા સુધીની અનુમતિ છે. ખુલ્લી જગ્યામાં 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમો યોજવાની અને બંધ જગ્યામાં ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 150ની મર્યાદામાં લોકોને ભેગા થવાની મંજૂરી છે. લગ્ન પ્રસંગોમાં પણ 150ની મર્યાદા છે જે 15 જાન્યુઆરી પછી પણ લંબાવવાની શક્યતા છે. વળી, અંતિમક્રિયામાં 100ની મંજૂરી છે. વાહનવ્યવહારમાં ક્ષમતાના 75 ટકાની મંજૂરી છે. ધોરણ 1થી 9ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઈન ચાલુ છે.












Click it and Unblock the Notifications
