કોરોના વાયરસ મૃતકોના પરિવારોને 4 લાખ વળતર માટે આજે કોંગ્રેસની પદયાત્રા
કોરોના મૃતક પરિવારોને 4 લાખ વળતર માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય પદયાત્રા યોજવામાં આવશે.
અમદાવાદઃ કોરોના વાયરસના કારણે જન ગુમાવનાર નાગરિકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનુ વળતર મળે તે માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય પદયાત્રા યોજવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના આઠ શહેરો અને 33 જિલ્લા મથકોએ મૃતકોના વારસોને સાથે રાખીને ન્યાય પદયાત્રા યોજાશે. અમદાવાદ શહેરમાં સવારે 10.30 વાગે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા રાજ્યના આઠ મહાનગરો અને 33 જિલ્લા મથકોએ મૃતકોના પરિવારજનોને સાથે રાખીને ન્યાય પદયાત્રા કરીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી મદદ કરવા માટેની પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં આવશે તેમજ ચાર લાખ વળતરની માંગણી કરવામાં આવશે. કોંગ્રેસે જણાવ્યુ છે કે કોવિડ મૃતકોના પરિવારોને ચાર લાખ વળતર અપાવવા માટે કોંગ્રેસ પક્ષે 45 હજારથી વધુ ફોર્મ ભરાવીને ભાજપનુ જૂઠ લોકો સમક્ષ ખુલ્લુ પાડ્યુ છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુપ્રીમ કોર્ટે ભાજપ સરકારની ઝાટકણી કાઢીને કહ્યુ હતુ કે કોરોના મૃતકોના પરિવારોને અપાતુ વળતર એ કોઈ ઉપકાર નથી. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે રાજ્યમાં અનેક ઉત્સવો પાછળ સરકાર કરોડો ખર્ચે છે પરંતુ મૃતકોના પરિવારોને વળતર આપવા માટે ચાર લાખ રૂપિયા આપવાનો નિર્ણય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતો નથી. વધુમાં ગુજરાત કોંગ્રેસે કહ્યુ કે રાજ્યમાં સહાય માટે આવેલી અરજીઓનો આંકડો એક લાખથી વધુ છે. સ્વજનો વારંવાર સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. ડેથ સર્ટિમાં મૃત્યુના કારણની ખોટી નોંધ સહિતના જુદા-જુદા કારણે સહાયમાં વિલંબ થઈ રહ્યો છે. આવી અન્યાયી બાબત ચલાવી ન શકાય.