ગુજરાત સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ 'સ્કૂલ્સ ઑફ એક્સીલન્સ' જૂનમાં શરુ થવાની સંભાવના નથી
ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી રેસિડેન્શિયલ 'સ્કૂલ્સ ઑફ એક્સીલન્સ' પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે.
અમદાવાદઃ ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી રેસિડેન્શિયલ 'સ્કૂલ્સ ઑફ એક્સીલન્સ' પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે કારણકે જૂનના પ્રથમ સપ્તાહથી શરુ થતા નવા શૈક્ષણિક સત્રથી શાળાઓ શરુ થવાની સંભાવના નથી. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ કે શોર્ટ લિસ્ટ કરાયેલી અરજીઓમાંના નામો હજુ ફાઈનલ કરવાના બાકી છે. તેમાં થોડો સમય લાગશે તેવી અપેક્ષા છે કારણકે તેમાં વિલંબ થાય તો પણ સરકાર ગુણવત્તા સાથે સમાધાન કરશે નહિ.
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડ પર રાજ્ય સરકારના પ્રોજેક્ટ માટે લગભગ 350 અરજીઓની સખત ચકાસણી બાદ 70 અરજદારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાના છ મહિના બાદ આ નિવેદન આવ્યુ છે. રાજ્યના શિક્ષણ વિભાગની સમિતિ દ્વારા ડિસેમ્બર 2021માં નામોની પસંદગી કરવામાં આવી હતી. ખાનગી પ્રોજેક્ટ ભાગીદારો દ્વારા વર્ગ 6 થી 12 સુધી મફત નિવાસી શાળાની ઓફર કરતી યોજનામાં રસ ધરાવતા અરજદારોમાં અગ્રણી ધાર્મિક સંસ્થાઓ, પ્રખ્યાત પરોપકારીઓ, ખાનગી યુનિવર્સિટીઓ, કોર્પોરેટ સંસ્થાઓ, બિન-નિવાસી ભારતીયો (NRIs) અને બિન-સરકારી સંસ્થાઓ (NGO) શામેલ હતા. જો કે, આ પ્રક્રિયાને રાજ્ય સરકાર તરફથી આખરી મંજૂરી મળવાની બાકી છે. શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારો સાથે વારંવારની બેઠકો અને વાર્તાલાપ છતાં રાજ્ય સરકાર હજુ પણ પ્રોજેક્ટ અંગે અનિર્ણાયક છે.
શિક્ષણ વિભાગે જમીન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ સંસાધન, લોજિસ્ટિક્સ અને મેનેજમેન્ટ પરના સમગ્ર રોકાણ સાથે PPP મોડલ પર 2,000-10,000 વિદ્યાર્થીઓ સાથે લગભગ 50 'રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એક્સેલન્સ' ચલાવવાનું લક્ષ્ય રાખ્યુ હતુ. જ્યારે સમગ્ર મૂડી ખર્ચ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા ઉઠાવવામાં આવશે ત્યારે શિક્ષણ વિભાગ નાણાકીય વર્ષ 2021-22 માટે 7 ટકાના વાર્ષિક વધારા સાથે નક્કી કરાયેલા પ્રતિ બાળક દીઠ રૂ. 60,000ની એકમ રકમ દ્વારા રિકરિંગ ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાય પૂરી પાડશે. શિક્ષણ સચિવ વિનોદ રાવે નામો પસંદ કર્યા પછી ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, 'આદર્શ રીતે 50 શાળાઓ પસંદ કરવામાં આવશે જ્યાં તેમને લઘુત્તમ જરૂરિયાત મુજબ જૂન 2022 સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાથ ધરવાની જરૂર પડશે.'
વિભાગે જાન્યુઆરીમાં શોર્ટલિસ્ટ કરાયેલા અરજદારોને બતાવવામાં આવેલી પ્રોજેક્ટ જરૂરિયાતો પર વિગતવાર પ્રેઝન્ટેશન પણ તૈયાર કર્યું હતું. ઉપરાંત, કાનૂની વ્યાવસાયિકોની મદદથી, તેમને કાયદેસર રીતે બાંધવા માટે એમઓયુની શરતો બનાવવામાં આવી છે. આ પોલિસીનો હેતુ આગામી ત્રણથી પાંચ વર્ષમાં ધોરણ 6 થી 12 સુધીની આ નિવાસી શાળાઓમાં કુલ 1-લાખ વિદ્યાર્થીઓની ક્ષમતા ઉભી કરવાનો છે. શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારો સહિત રાજ્યના અન્ય ભાગો કરતાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી અરજીઓની સંખ્યા સૌથી વધુ છે. રાજ્ય સરકારે ગયા વર્ષે કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) વચ્ચે રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એક્સેલન્સ માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર પણ હસ્તાક્ષર કર્યા હતા. એમઓયુ મુજબ, ધોરણ 6-8 દ્વિભાષી હશે જ્યારે ધોરણ 9થી આગળ અંગ્રેજી માધ્યમ હશે.