બાળકને ૨૫ વર્ષ પછી કેવું ભારત આપવું એ આપણાં હાથમાં છે: અરવિંદ રૈયાણી
રાજ્યભરની સાથે સાથે પાટણ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ થયો છે.
રાજ્યભરની સાથે સાથે પાટણ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ થયો છે. રાજ્યના પરિવહન, નાગરિક ઉડ્ડયન અને પર્યટન મંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને એ.પી.એમ.સી. ખેડૂત ભવન હોલ ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ થયો. અરવિંદ રૈયાણીના હસ્તે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. પાટણ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તા.૫ થી ૧૯ જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસનો રથ લોકકલ્યાણ માટે ફરશે.
કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યના પરિવહન, નાગરિક ઉડ્ડયન અને પર્યટન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ કાર્યક્રમનો શુભારંભ કરતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં થયેલા વિકાસના કામો જનતાના ધ્યાનમાં આવે તે માટેના પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે. અનેક યોજનાઓ થકી દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. પહેલા ગામડામાં લાઈટ જતી રહેતી હતી અને આજે જ્યોતિગ્રામ યોજના થકી ઘરે-ઘરે વિજળી પહોંચતી થઈ છે. તેથી જ આજના બાળકને 25 વર્ષ પછી કેવું ભારત આપવું તે આપણા હાથની વાત છે.
પાટણ જિલ્લામાં આજથી શરૂ થયેલ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રૂ. ૨૧.૮૯ કરોડના ૪૩૨ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂ.૧૨.૧૬ કરોડના ૫૭૭ કામોનું ખાતમુર્હૂત કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાનાર છે. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીને કીટ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ પહેલા મંત્રી અરવિંદ રૈયાણીએ ઐતિહાસીક ધરોહર એવી પાટણની રાણ કી વાવની મુલાકાત લઈને તેના બેનમુન નકશીકામને નિહાળ્યુ હતુ. ત્યારબાદ તેઓ પાટણના વિશ્વપ્રખ્યાત એવા પાટણના પટોળાને નિહાળવા માટે પટોળા હાઉસની મુલાકાત લેવા માટે પણ ગયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિ મકવાણા, નગર પાલિકા પ્રમુખ સ્મિતા પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ચ દિલીપકુમાર ઠાકોર, પૂર્વમંત્રી રણછોડ રબારી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા કલેક્ટર તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.