કિશન ભરવાડનો હત્યારો શબ્બીર મૌલાના ઐયુબ અને ઉસ્માની સાથે હતો સંપર્કમાં, થયા ચોંકાવનારા ખુલાસા
ધંધુકામાં થયેલ ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસ દરમિયાન રોજ કોઈને કોઈ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
અમદાવાદઃ ધંધુકામાં થયેલ ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસ દરમિયાન રોજ કોઈને કોઈ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં હત્યારો શબ્બીર કે જે મૌલાના અયુબ અને મૌલાના ઉસ્માનીને ઓળખવાનો ઈનકાર કરતો હતો તે તેમના સાથે સતત સંપર્કમાં હોવાનુ બહાર આવ્યુ છે. રિપોર્ટ મુજબ કિશન ભરવાડ કેસમાં ખુલાસો થયો છે કે હત્યારા શબ્બીરે મૌલાના ઉસ્માની સાથે ફોન પર 10 વખત વાત કરી હતી.
બીજી પણ ચોંકાવારી વિગતો સામે આવી છે જેમાં મૌલાના ઉસ્માનીના ઈશારે હિંદુત્વનો પ્રચાર કરતા લોકોની માહિતી પણ એકઠી કરાઈ હોવાનુ સામે આવ્યુ છે જેમાં બીએસ પટેલ, પંકજ આર્ય, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠી સહિતના લોકોનો સમાવેશ થાય છે. આ કેસમાં જોડાઈ રહેલી કડીઓના આધારે ગુજરાત પોલિસની એટીએસ ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. કિશનની હત્યા પહેલા મૌલાના અયુબ અમદાવાદથી ધંધુકા ગયો હોવાનુ પણ સામે આવ્યુ છે. જેમાં ઘટનાક્રમ માટે રેકી કરાઈ હોવાનુ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે.
પોરબંદરના સાજણ ઓડેદરાને મોતને ઘાટ ઉતારવા માટે રેકી કરવા શબ્બીર અને ઐયુબ બે વખત પોરબંદર ગયા હતા. રેકી કર્યા પછી તેઓ મુંબઈમાં ઉસ્માનીને પણ મળ્યા હતા. આ કેસની તપાસ સાથે કોઈ અન્ય વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવી હતી કે નહિ તે દિશામાં તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ધંધુકામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટના લીધે ઉશ્કેરાયેલા શબ્બીર અને ઈમ્તિયાઝે જાહેરમાં જ કિશન ભરવાડને ગોળી મારી દીધી હતી. આરોપીઓની ધરપકડ અને ટેલીફોનિક રેકોર્ડના આધારે મહત્વની વિગતો સામે આવી છે જેમાં આ કટ્ટરપંથી ટુકડી દ્વારા હિંદુત્વનો પ્રચાર કરનારા લોકોની વિવિધ પ્લેટફોર્મ પરથી સંપૂર્ણ માહિતી એકઠી કરીને તેમની કુંડલી તૈયાર કરવામાં આવી હતી.
પોલિસ તપાસમાં બીજી એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે લોકોને ઉશ્કેરવા માટેજે પુસ્તર લખવામાં આવ્યુ હતુ તેની 4000 કોપી છાપવામાં આવી હતી પરંતુ પોલિસને તપાસ દરમિયાન 1000 કોપી જ મળી હતી. હવે બાકીની 3000 કોપી કોને અપાઈ તેની તપાસ કરવામાં આવશે. હત્યારાએ હત્યા બાદ પોતાના બે મોબાઈલ ફોન અને ત્રણ સિમકાર્ડ તોડીને તળાવમાં નાખી દીધા હતા જેને શોધવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે.