વિધાનસભામાં સરકારની જાહેરાત, ધારાસભ્યો માટે 247 કરોડના ખર્ચે બનશે નવા ક્વાર્ટર્સ
અમદાવાદમાં સનાથલ રિંગ રોડ પર નવુ સક્રિટ હાઉસ બનાવવાનો નિર્ણય માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં જાહેર કર્યો હતો.
અમદાવાદઃ 14મી ગુજરાત વિધાનસભામાં હાલમાં અંદાજપત્ર સત્ર ચાલી રહ્યુ છે. જેમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ સભા ગૃહમાં પ્રવાસન વિભાગને ફાળવવામાં આવેલ બજેટની આ વિગતો આપી હતી. ગુજરાત વિધાનસભામાં આજે માર્ગ મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસ વિભાગની પૂરક માંગણીઓ અંગે ચર્ચા થઈ. 11,250 કરોડથી વધુની માંગણીઓ સામે વિપક્ષે સંપૂર્ણ ટેકો જાહેર કરતા આ ત્રણેય વિભાગોનુ બજેટ પણ સર્વસંમતિથી પસાર થયુ હતુ. સૌરાષ્ટ્રથી આવતા વીવીઆઈપી, સરકારી રાજકીય અધિકારી, પદાધિકારીઓની સહુલિયત માટે અમદાવાદમાં સનાથલ રિંગ રોડ પર નવુ સક્રિટ હાઉસ બનાવવાનો નિર્ણય માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં જાહેર કર્યો હતો.
માર્ગ-મકાન મંત્રીએ જાહેર કર્યુ હતુ કે જૂના સભ્ય નિવાસને ધ્વસ્ત કરીને તેના સ્થાને ધારાસભ્યોને રહેવા માટે 247 કરોડના ખર્ચે 14-18 ટાવર ઉભા થશે. ઉમરગામથી નારાયણ સરોવર સુધી 1600 કિમી લંબાઈને કોસ્ટલ હાઈવે 2400 કરોડના ખર્ચે બનશે. જેમાં ખૂટતી કડીઓ જોડીને કોસ્ટલ બેલ્ટને હાઈવે મળશે. ગ્રામીણ વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં જવા-આવવાની મુશ્કેલીઓ નિવારવા 295 હયાત કોઝ-વેના સ્થાને 461.50 કરોના ખર્ચે ઉંચા પુલો બનાવાશે.
પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે સ્ટે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં આ વર્ષે 1200 નવી એસટી બસો મૂકવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી નિગમમાં બીએસ ફાઈવ ટેકનોલોજી આધારિત સુપર એક્સપ્રેસ 400 વાહનો, ગુર્જર નગરી 200 વાહનો સહિત કુલ 1200 નવી બસો માટે 367 ફાળવવામાં આવ્યા છે. વળી, અંબાજીથી સાપુતારા વચ્ચે વનબંધુ ટુરિસ્ટ સર્કિટ ડેવલવ કરવા 60 કરોડની ફાળવણી પણ જાહેર કરવામાં આવી છે. ખુશ્બુ ગુજરાત કી જાહેરાત અભિયાનની સફળતાને શ્રેય આપીને પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યુ કે આ અભિયાન થકી રાજ્યની મુલાકાત લેનારા પ્રવાસીઓની કુલ સંખ્યા 2010-11માં 198 લાખથી વધીને હાલમાં 609 લાખ પહોંચી છે.
કચ્છના નિરોણા ખાતે હેન્ડીક્રાફ્ટ બજાર વિકસાવાશે. વળી, રાજ્યમાં ધાર્મિક સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ખર્ચવામાં આવેલા ભંડોળના 80 ટકા જેટલો ખર્ચ ઉઠાવવામાં આવશે જ્યારે બાકીના 20 ટકા ખર્ચ જે તે ધાર્મિક સ્થળનુ સંચાલન કરતા ટ્રસ્ટો દ્વારા ઉઠાવાશે.