અમદાવાદમાં પાણી ન પહોંચતુ હોય તેવા સ્થળોએ બોર બનાવવાની મંજૂરી
શહેરમાં પાણી ન પહોંચતુ હોય એવા સ્થળોએ નવા બોર બનાવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને સત્તાધારી પક્ષે મંજૂરી આપી દીધી છે.
અમદાવાદઃ વિશ્વ જળ દિન નિમિત્તે મંગળવારે અમદાવાદમાં 24 કલાક પાણી આપવાની થતી ખોખલી વાતો વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી મળતુ ન હોવા અંગે કોંગ્રેસ તરફથી મેયરને આવેદન આપવામાં આવ્યુ હતુ. આવેદન આપ્યાના એક દિવસ બાદ પાણી સમિતિની મળેલી બેઠકમાં શહેરમાં પાણી ન પહોંચતુ હોય એવા સ્થળોએ નવા બોર બનાવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને સત્તાધારી પક્ષે મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ સહિત અન્ય તમામ ઝોન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં મંગળવારે ખાલી માટલા સાથે મેયરને પૂરતા પ્રેશરથી પાણી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. બુધવારે પાણી સમિતિના ચેરમેન જતીન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વોટર ઑપરેશન વિભાગ તરફથી બોરવેલ બનાવવાની મંજૂરી માંગતી બે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
પૂર્વ અમદાવાદના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં તથા અન્ય ઝોનમાં જુદા જુદા વૉર્ડમાં જે સ્થળોએ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનુ પાણી પહોંચતુ ના હોય તેવા આઈસોલેટેડ સ્થળો ઉપર તેમજ હયાત બોરવેલ નિષ્ફળ જાય તેવા સંજોગામાં 350 બાય 250 એમ.એમ ડાયામીટરના તથા 310 મીટર ઉંડાઈના બોરવેલ પ્રતિ બોરવેલ 26,31,322ના ભાવથી બે કરોડની ખર્ચ મર્યાદામાં બનાવવા મે. ન્યાલકરણ ટ્યુબવેલ કંપની અને મે. જય વિજય કંસ્ટ્રક્શન કંપનીને વર્ક ઑર્ડર આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ બંને દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી માટે મુકવામાં આવી છે.