મા ઉમિયાધામ મંદિરઃ સોલા ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ પૂર્ણ, 1500 કરોડનો ખર્ચ, 150 કરોડનુ દાન, જાણો સંપૂર્ણ વિગત
સોલા ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સંતોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયો અને મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. જાણો મંદિર નિર્માણની સંપૂર્ણ વિગત.
અમદાવાદઃ સોલા ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સંતોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયો અને મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. મંદિરના શિલાન્યાસ મહોત્સવમાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા. ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીએ વીડિયો સંદેશ દ્વારા સંબોધન કરીને જણાવ્યુ હતુ કે આ સેવાનુ કાર્ય છે. આ સેવા યજ્ઞ આવનારી પેઢીઓ માટે ઉપયોગ થશે. આજે સ્કિલ ડેવલપમેન્ટનુ મહત્વ છે. આઝાદીના અમૃત મહોત્સવમાં સમાજ અને દેશને શું આપીશુ એનો દ્રઢ સંકલ્પ કરીએ.

ઉમિયાધામના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જણાવ્યુ હતુ કે 1500 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઉમિયાધામમાં અનેકવિધ સમાજ કલ્યાણની પ્રવૃત્તિએ ધમધમશે. આ માત્ર મંદિર જ નહિ પરંતુ પાટીદાર સમાજ ઉત્કર્ષની પણ પગદંડી બનશે. આ શિલાન્યાસ એ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્કર્ષના સંકલ્પનો શિલાન્યાસ છે. આ મંદિરે અનેક ચડાવ ઉતાર જોયા, મંદિર તૂટ્યુ, ફરીથી બન્યુ, 1800 વર્ષની આ યાત્રા જ દર્શાવે છે કે ગમે તેવા વિઘ્નો આવે પણ શ્રદ્ધા હોય ત્યાં પુનઃસ્થાપિત થાય છે. તેમણે વધુમાં જણાવ્યુ કે પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ અને ગુજરાત અને દેશના ઉત્કર્ષના ઈતિહાસ એકબીજા સાથે જોડાયેલા છે. પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ટા, શિક્ષણની લગન, ખંત અને મહેનતથી દેશની પ્રગતિમાં ઉદાહરણરુપ યોગદાન આપ્યુ છે.
શિલાન્યાસ વિધિ પૂર્ણ થતા જ મંદિર અને અન્ય ભવનોના નિર્માણનુ કામ શરુ થઈ ગયુ છે. 1500 કરોડનો પ્રોજેક્ટ બે ફેઝમાં પૂર્ણ થશે. સોલા ઉમિયાધામ નિર્માણની કામગીરી પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આના માટે અત્યાર સુધી 150 કરોડનુ દાન એકઠુ થઈ ચૂક્યુ છે. આ ભવ્ય સોલા ઉમિયાધામ મંદિરની સાથે હોસ્ટેલ, આરોગ્ય ભવન, મલ્ટીપર્પઝ હોલનુ પણ નિર્માણ કરાશે. 74 હજાર ચોરસ મીટરમાં જમીનમાં આકાર પામી રહેલ સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડ રુપિયામાં પૂર્ણ કરવામાં આવશે. ઉમિયાધામમાં 800 લોકો એક સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે.
આ ઉપરાંત 1200 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનુ નિર્માણ કરવામાં આવશે. જેમાં એક ભોજનશાળા હશે. 50 રૂમનુ એક ગેસ્ટ હાઉસ તૈયાર કરવામાં આવશે. આ મંદિર પરિસરમાં એક હજાર કાર એક સાથે પાર્ક થાય તેવુ પાર્કિંગ બનાવામાં આવશે. મંદિર 255 ફૂટ લાંબુ અને 160 ફૂટ પહોળુ હશે. મંદિર જમીનથી શિખર સુધીની ઉંચાઈ 132 ફૂટ હશે. મહાપીઠની ઉંચાઈ 6 ફૂટ હશે જ્યારે મંદિરની ઉંચાઈ 22 ફૂટ હશે. મંદિરમાં કુલ 92 સ્તંભો હશે. જે તમામ પ્રાચીન શાસ્ત્રો અનુસાર કોતરણી સાથેના હશે. ભવ્ય મંદિરના નિર્માણમાં લોખંડની ખીલીઓનો ઉપયોગ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
