વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં વરસાદી રમઝટ, 60થી વધુ વૃક્ષો ધરાશાયી
રવિવારે સાંજે વાતાવરણ એકાએક પલટાયુ હતુ અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ગાજવીજ સાથે વરસાદે રમઝટ બોલાવી હતી.
અમદાવાદઃ શહેરમાં આખા દિવસના ઉકળાટ પછી રવિવારે સાંજે વાતાવરણ એકાએક પલટાયુ હતુ અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ગાજવીજ સાથે વરસાદે રમઝટ બોલાવી હતી. રસ્તાઓ પર લગાવેલા સાઈનબોર્ડ, બેનરો તૂટી પડ્યા હતા. ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા. શહેરમાં સરેરાશ 9.29 મીમી અને સિઝનનો અત્યાર સુધીને એક ઈંચ ઉપરાંત વરસાદ થયો હતો.
અચાનક જ વાતાવરણ પલટાયુ
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રવિવારે સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ અચાનક જ વાતાવરણ પલટાયુ હતુ અને ભારે પવન સાથે વંટોળ ફૂંકાવાનુ શરુઆત થઈ ગયુ હતુ. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયુ હતુ. જોતજાતામાં શહેરમાં અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ શરુ થઈ ગયો હતો. જોધપુરમાં પોણા બે ઈંચ, બોપલમાં દોઢ ઈંચ અને ઉસ્માનપુર તેમજ સરખેજ અને મકરપુરમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વળી, પ્રહલાદનગર, લૉ ગાર્ડન કમિશન્ર બંગલા સહિતના વિવિધ વિસ્તારોમાં 80થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો મળતા મ્યુનિસિપલ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.
વીજળી ડૂલ, બેનરો ઉખડ્યા
શહેરના પૂર્વ વિસ્તારો નરોડા, ખાડિયા, રાયપુરમાં ભારે પવનના કારણે સાઈનબોર્ડ અને બેનરો ઉડીને નીચે પડી ગયા હતા. વળી પાલડી, ઉસ્માનપુરા તેમજ દક્ષિણ-પશ્ચિમમાં આવેલા જોધપુર, સરખેજ, મકરપુરામાં પણ વરસાદે માઝા મૂકી હતી. આખા દિવસના ઉકળાટ બાદ શહેરના બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમરોડ, એસજી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઈટ સહિત લગભગ બધા વિસ્તારોમાં વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ઘણા સ્થળોએ વીજળી ડૂલ થઈ ગઈ હતી.
વૃક્ષો ધરાશાયી, ટ્રાફિક જામ
રવિવારની સાંજ હોવાના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. વળી, વરસાદના કારણે 60થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ જતા ફાયર વિભાગ અને ગાર્ડન વિભાગનુ તંત્ર પણ દોડતુ થઈ ગયુ હતુ. શહેરના તમામ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ન જાય તે માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને એચપી પંપ મૂકીને દસ મિનિટમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જો કે, મોડી સાંજે વાતાવરણમાં આવેલા પલટાથી લોકો વરસાદમાં પલળવા પણ નીકળી પડ્યા હતા અને દાળવડાની લારીઓ પર પણ લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.