અમદાવાદના 100 ફૂડ જોઇન્ટ્સને વધારે સારા બનાવવા તાલીમ અપાશે
આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર ડૉ. એચ જી કોશિયાએ જણાવ્યું કે "અમદાવાદના વસ્ત્રાપુર, કાંકરિયા, અખબારનગર, ખોખરા, માણેક ચોક અને લૉ ગાર્ડન સહિતના ખાણીપીણી બજારના 100 જેટલા ખાણી પીણી સ્ટોલની પસંદગી કરવામાં આવી છે. અમારી ટીમોએ તેમને તાલીમ આપતા પહેલા તેમના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમની કામગીરી અને સમગ્ર પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમે અમારા પ્રોગ્રામ અંતર્ગત તેમને તાલીમ આપવા માટે બોલાવ્યા હતા. સાથે તેમને હેન્ડ ગ્લોવ્ઝ, એપ્રોન્સ અને કેપ્સની કોમ્પ્લિમેન્ટ્રી કિટ આપી હતી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "છેલ્લા એક વર્ષમાં અમે કરેલા પ્રયત્નોથી એફએસએસએઆઇ સત્તાવાળાઓ પ્રભાવિત થયા છે. સત્તામંડળના ચેરમેન કે ચંદ્રમૌલીએ રાજ્યની મુલાકાત બાદ અન્ય રાજ્યોને પણ ગુજરાતનું અનુકરણ કરવા જણાવ્યું હતું. તેમની મુલાકાત બાદ બિહાર અને હરિયાણીની ટીમ અવલોકન માટે આવી હતી, ત્યાર બાદ તેમણે તેમના રાજ્યમાં પણ આવી તાલીણ આપવાનું શરૂ કર્યું છે. હવે પછીની તાલીમમાં નોન વેજીટેરિયન ખાણી પીણી બજારો જેવા કે જમાલપુર, ત્રણ દરવાજા અને જુહાપુરાનો સમાવેશ થશે."
કોશિયાએ જણાવ્યું કે તાલીમ આપ્યા બાદ જો સ્ટોલ્સ દ્વારા તેનો અમલ કરવામાં આવશે નહીં તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. તેમણે હાઇજેનિક ફૂડ પીરસવા માટે યોગ્ય સાધનોનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત નિયમિતરૂપિ તેમણે સ્વાસ્થ્ય તપાસ કરાવવા માટે જવું પડશે.