પોલીસ લાઇનમાં ધાબા પર સુઇ રહેલી મહિલા પીએસઆઇના બે મોબાઇલની ચોરી
કાયદો અને વ્યવસ્થાને કાબુમાં લેતી પોલીસ પણ હવે સુરક્ષિત નથી તેવી એક ઘટના અમગાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થાને કાબુમાં લેતી પોલીસ પણ હવે સુરક્ષિત નથી તેવી એક ઘટના અમગાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. જેમાં માઘુપુરા પોલીસ લાઇનમાં પોતાના પરિવાર સાથે રહેતા અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પીએસઆઇના બે મોબાઇલ ફોનની ચોરી થઇ છે. મહિલા પીએસઆઇ રાતના સમયે ઘરની અગાસી પર સુતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. મહિલા પીએસઆઇ સહિત અન્ય પોલીસના મોબાઇલ ફોનની પણ ચોરી થઇ હતી.
શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનની પાછળ આવેલી માધુપુરા પોલીસ લાઇનમાં રહેતા અને અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં પારુલબહેન કમાભાઇ મેરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
પીએસઆઇ પારુલબહેન ધાબા પર તેમના પરિવાર સાથે સુવા માટે ગયા હતા જ્યાં તેમના બે મોબાઇલ ફોન ઓશિકા નીચે મુક્યા હતા અને વહેલી સવારે પાંચ વાગે પારુલબહેન ઉઠ્યાં ત્યારે જોયુ તો ઓશીકા નીચે મુકેલા બે મોબાઇલ ફોન ગાયબ હતા. પારુલબહેને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
સામાન્ય રીતે પોલીસ લાઇનમાં ચોરીની ઘટના બનતી નથી પણ બે વર્ષ પછી ચોરીનો બનાવ બન્યો છે. શાહીબાગ પોલીસ માની રહી છે કે આ ચોરી પાછળ પોલીસ લાઇનમાં રહેતા કોઇ સ્થાનિક વ્યક્તિની સંડોવણીની શક્યતા છે. કારણ કે ઉનાળામાં રાતના સમયે ઘણા લોકો અગાસી પર સુવે છે અને પોલીસ લાઇનમાં કોઇ બહારનો વ્યક્તિ આવીને ચોરી કરે તે વાત અશક્ય છે.
પોલીસ તપાસ કરતા બંને મોબાઇલ ફોન સ્વીચ ઓફ હતા અને ચોરી કરનારે બંને સીમ કાર્ડને ફેંકી દીધા હતા. જેથી ચોરનું પગેરૂ મેળવવું પોલીસ માટે ખુબ જ મુશ્કેલ બની રહે તેમ છે. ઉલ્લેખનીય છે કે ઉનાળા દરમિયાન લોકો એસી ચાલુ રાખીને રૂમ બંધ કરીને સુતા હોય છે ત્યારે રાતના સમયે તસ્કરો ઘરમાં ઘુસીને ચોરી કરતા હોય તેવા પણ અનેક બનાવો પણ બનતા હોય છે.