નવસારીના સમરોલીમાં મૃતકોના પરિવારને સાંસદના હસ્તે અપાઇ 20 લાખની સહાય
નવસારીના સમરોલીમાં મૃતકોના પરિવારને સાંસદના હસ્તે અપાઇ 20 લાખની સહાય
નવસારી જિલ્લાના સમરોલી ગામમાં થોડા સમય પહેલાં ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના અને તેમના સગાં સંબંધી મળીને પાંચ લોકોના મોત થયાં હતાં. આ કરપીણ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. એક પરિવારના પાંચ મૃતદેહોને અંતિમ સંસ્કાર આપતાં સમગ્ર ગામ હિબકે ચઢ્યુ હતું. અકસ્માતમાં પ્રફુલ પટેલ, મિનાક્ષી પટેલ, રિદ્ધેશ પટેલ, રોનક પટેલ અને મનિષા પટેલના મોત થયા હતા.
આ દુખદ ઘટનામાં મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ સહાયની રકમના ચેક આજ રોજ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. મૃતકોના પરિવારજનોને આ દુખદ ઘટનામાં સેવાદના વ્યક્ત કરી તેમના પરિવારને આર્થિક મદદરૂપ થતી રાજ્ય સરકાર દ્વારા 20 લાખની સહાય આપવામાં આવી હતી.
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને પરિવારજનોને દિલાસો પાઠવ્યો હતો. જે દરમિયાન રાજ્યના મંત્રી નરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.