વલસાડના પારડી ખાતે ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું
વલસાડના પારડી ખાતે ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું
વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી ખાતે મોરારજી દેસાઇ ઓડિટોરિયમમાં નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે ૨૩.૭૬ કરોડના ૩૫૬ વિકાસકાર્યોનું ઈ - ખાતમુહૂર્ત અને ઈ - લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૧૨.૫૭ કરોડના કુલ ૨૫૬ કામોનું ઇ – ખાતમુહૂર્ત અને રૂ.૧૧.૧૯ કરોડના ૧૦૦ કામોનું ઇ – લોકાર્પણ કરાયું હતું.
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સામાન્ય વહીવટ વિભાગ - આયોજન અંતર્ગત રસ્તા, સ્મશાન ભૂમિ, શાળાની કંપાઉન્ડ વોલ, નાળા ગટરના ૫.૯૦ કરોડના ૨૫૩, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત વાપીમાં નવીન ડેપો વર્કશોપનું ૩.૬૧ કરોડના, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ધરમપુર અને કપરાડા તાલુકામાં ચેકડેમ અને આર.સી સી. બોક્સ કલવર્ટના રૂ.૩.૦૬ કરોડના ૨ કામોનું ઈ - ખાતમુહૂર્ત તેમજ રસ્તા, સ્મશાન ભૂમિ, શાળાની કંપાઉન્ડ વોલ, નાળા ગટરના રૂ.૧.૬૨ કરોડના ૯૦ કામો, ધરમપુર અને કપરાડા તાલુકામાં ચેકડેમ અને આર.સી સી. બોક્સ કલવર્ટના રૂ.૩.૨૮ કરોડના ૯ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પારડીમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ (EMRS)ના રૂ.૬.૨૯ કરોડના ખર્ચે બનેલા નવા મકાનનું ઈ - લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નાણાંમંત્રી કનુ દેસાઈએ ગુજરાતના લોકોને સરકાર પ્રત્યે વિશ્વાસ જાળવી રાખવા બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગુજરાતનો વિકાસ વિશ્વ ફલક ઉપર દેખાય છે. ગુજરાતમાં આજ સુધીના બજેટમાં સૌથી મોટું બજેટ રજૂ કરવાનો મોકો મળ્યા બાદ ૨ લાખ ૪૩ હજાર કરોડના વિકાસના કામો સરકારે કર્યા છે. બજેટ બાદ જે કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ દરેક કામો સરકારે કર્યા છે અને કરતી રહેશે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહ, ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર અને ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.