રાજ્યમાં ૩થી 9 જાન્યુઆરી સુધી બાળકોના વેક્સિનેશન માટે ખાસ અભિયાન ચાલશે!
૯મી જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશન માટે ખાસ અભિયાન યોજાશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ માહિતી આપી હતી.
ગાંધીનગર : ૯મી જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશન માટે ખાસ અભિયાન યોજાશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ માહિતી આપી હતી. આ ઉપરાંત ૬૦ વર્ષથી વધુ વયના વયસ્કો, ફ્રન્ટ લાઇન કોરાના વર્કર, હેલ્થ વર્કરને ૧૦મીં જાન્યુઆરીએ પ્રોત્સાહક ડોઝ અપાશે.
બાળકોને વેક્સિનેશન માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ઓન ધ સાઇટ પણ રજીસ્ટ્રેશન કરાશે. આ માટે અંદાજે ૩૫૦૦થી વધુ સેન્ટરો પરથી રસીકરણ કાર્યક્રમ ચાલશે. આ અભિયાન માટે મ્યનિસિપલ કમિશનરો તથા જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સની સમિક્ષા કરાઈ હતી.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યુ કે, કોવિડ-૧૯થી રાજ્યના બાળકોને સુરક્ષિત કરવા માટે રાજ્યભરમાં આગામી ૩જી જાન્યુઆરીથી ૯મી જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશન માટે ખાસ અભિયાન હાથ ધરાશે. ૭મી જાન્યુઆરીએ મહા અભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરાશે. આજે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો સાથે આ અભિયાનની તૈયારીની ચર્ચા વિચારણા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ માર્ગદર્શન પુરુ પડાયુ હતું.
આ બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ અપાશે. આ માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં અંદાજે ૩૫૦૦થી વધુ સેન્ટરો કાર્યરત કરાશે અને સ્થાનિક કક્ષાએ જરૂરિયાત મુજબ સેશન વધારાશે.
આ માટે તારીખ પહેલી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે તેમજ ઓન ધ સાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજીસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે આ અભિયાન હેઠળ તારીખ ૭મીં જાન્યુઆરીએ રાજ્યભરમાં ખાસ મહા અભિયાન હાથ ધરાશે. જેમાં તમામ બાળકો અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતા બાળકોના રસીકરણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે, જેથી બોર્ડની પરીક્ષાના સમયે કોઈપણ પ્રકારની તકલીફ પડે નહીં.
૬૦ વર્ષથી વધુ વયના કોમોર્બિડ વયસ્કો, ફ્રન્ટ લાઇન વર્કર, હેલ્થ વર્કરને પણ આગામી ૧૦મી જાન્યુઆરીથી પ્રોત્સાહક ડોઝ આપવા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. જેમાં અંદાજે ૧૩ થી ૧૪ લાખ વયસ્કોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે તૈયાર છે. તેમજ બીજા ડોઝ બાદ ૩૯ અઠવાડિયા પૂર્ણ થશે, તેમ તેમ તમામને આ પ્રોત્સાહક ડોઝ આપવાનું આયોજન કરી દેવાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.