વલસાડના વિલ્સન હિલ ખાતે મોનસૂન ફેસ્ટિવલ ૨૦૨૨નું નાણાંમંત્રીના હસ્તે ઉદઘાટન
વલસાડના વિલ્સન હિલ ખાતે મોનસૂન ફેસ્ટિવલ ૨૦૨૨નું નાણાંમંત્રીના હસ્તે ઉદઘાટન
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિલ્સન હિલ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા સૌપ્રથમ વખત મોનસૂન ફેસ્ટિવલ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. આ મોનસૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મોન્સુન ફેસ્ટિવલમાં ૧૩ ઓગસ્ટથી ૧૬ મી ઓગસ્ટ સુધી સતત ચાર દિવસ માટે આદિવાસી પરંપરા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન, મેળો અને જંગલ ટ્રેકિંગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉદ્ધાટન પ્રસંગે પારંપારિક વેશભૂષામાં સજ્જ આદિવાસી કલાકારો દ્વારા પેપા નૃત્ય, તુર નૃત્યનું તેમજ શ્રેષ્ઠા બેન્ડ દ્વારા વિવિધ કાર્યક્રમો ઉમળકાભેર રજૂ કરાયા હતા.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણા વિસ્તારનાં પ્રવાસન સ્થળોનો વિકાસ કરવો એ અમારું ધ્યેય છે. જિલ્લાનાં પ્રવાસન સ્થળો ખૂબ જ સુંદર છે એ સ્થળોને પ્રખ્યાત કરવા માટે વહીવટી તંત્ર સાથે મળી તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આ સૌપ્રથમ મોન્સુન ફેસ્ટિવલનું આયોજન વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગના પ્રયાસોથી જ શક્ય બન્યું છે. અંબાજીથી ઉમરગામ સુધી પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગો શક્ય ન હોય પર્યટન સ્થળોને વિકસાવવાની ઘણી જરૂર છે, જેથી આદિવાસીઓને રોજગારી મળી શકે અને તેનો સર્વાંગી વિકાસ કરી શકાય તેમ છે.
સાપુતારા અને વિલ્સન હિલના વખાણ કરતા કહ્યું હતું કે, દેશ વિદેશના હિલ સ્ટેશનોની મુલાકાત વેળાએ પણ સાપુતારા અને વિલ્સન હિલની જ યાદ આવે છે. વિલ્સન હિલ ખાતેની પાણીની સમસ્યાનો બનતા તમામ પ્રયત્નો કરી ઉકેલ લાવવામાં આવશે. અહીંના સ્થાનિકોએ ઘરના આતિથ્યને પ્રાધન્ય આપી રોજગારીની તકો ઊભી કરવી જોઈએ.
વિલ્સન હિલ પ્રવાસન સ્થળ તરીકે ઘણું પ્રખ્યાત સ્થળ છે. ત્યારે, વધુ પ્રવાસીઓનો ધસારો વધે જેનાથી સ્થાનિક ધંધા રોજગાર પણ ઉભરી શકશે. વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલે કહ્યું હતું કે, સાપુતારાનો વિકાસ છેલ્લા ૬૦ વર્ષોથી થઈ રહ્યો છે, પ્રવાસન સ્થળ તરીકે વિકાસ માટે ઘણો સમય મળ્યો હતો અને ત્યાંના લોકોનું વિસ્થાપન પણ કરાયું હતું. જ્યારે વિલ્સન હિલનો પ્રવાસન સ્થળ તરીકે હમણાં થોડા સમયથી જ વિકસાવવાની શરૂઆત થઈ છે અને સારી વાત એ છે કે એના વિકાસ માટે એક્પણ વ્યક્તિનું વિસ્થાપન કરવું પડ્યું નથી. આ મોનસૂન ફેસ્ટિવલ દ્વારા સ્થાનિક લોકોને પારંપારિક ચીજ વસ્તુઓ જેવી કે નાગલીની વાનગીઓ, વાંસની વસ્તુઓના વેચાણ દ્વારા રોજગારીની તકો ઊભી થઈ છે. પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થવાથી વિલ્સન હિલની આસપાસના ગામોના લોકોને વિવિધ રીતે રોજગારી મળી રહેશે.