ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 હત્યા
ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન હત્યાના 4 બનાવો સામે આવ્યા છે. જેમાં ભાવનગરના કુંભારવાડામાં પરેશ મકવાણા નામના યુવકની જૂની અદાવતમાં હત્યા કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કુંભારવાડા વિસ્તારમાં રહેતો પરેશ મકવાણા નામનો યુવક 4 મહિના પહેલા યુવતીને ભગાડી ગયો હોવાની આશંકા રાખી બે યુવકોએ છરી વડે ઘા મારી દીધા હતા. યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાતા ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બીજી ઘટનામાં ભાવનગર જિલ્લાના તળાજામાં ખોજાવાડમાં ગઇ કાલે મોડી રાત્રે ઘરમાં હથિયારો રાખવાની ના પાડતા ટ્રીપલ મર્ડરની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાની વિગત એવી છે કે ભાવનગર જિલ્લાના તળાજામાં ખોજાવાડમાં ગુરુભાઇની વાડી પાસે ઘરમાં હથિયારો રાખવાની ના પાડતા બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 12 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ જેમાં પિતા અને બે પુત્રો સહિત 3 જણના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. પોલિસે વધુ તપાસ હાથ ધરી શોધખોળ ચાલુ કરી છે.