ગુજરાતમાં યોજાનારા પ્રવાસી ભારતીય દિવસ 2015માં 5000 NRI ભાગ લેવાની શક્યતા
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર : ગુજરાતના નાણા મંત્રી અને નોન રેસિડ્ન્ટ ગુજરાતી (એનઆરજી) બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે બેઠક યોજી હતી. આ બેઠક 22 સપ્ટેમ્બરે યોજવામાં આવી હતી. આ બેઠક પ્રવાસી ભારતીય દિવસ 2015ના આયોજન સંદર્ભે મળેલી પ્રથમ એડવાઇઝરી કમિટીની હતી.
નોંધનીય છે કે 13મો પ્રવાસી ભારતીય દિવસ સૌપ્રથમવાર ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજાવા જઇ રહ્યો છે. આ ઇવેન્ટ 7થી 9 જાન્યુઆરી, 2015 દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.
આ બેઠકને સફળ ગણાવતા સૌરભ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસની થીમ નક્કી થઇ ગઇ છે. આ વખતે મહાત્મા ગાંધીના સાઉથ આફ્રિકાથી ભારત પરત આવવાને 100 વર્ષ થતા હોવાથી તેને જ થીમ રાખવામાં આવી છે. મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી, 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાતમાં 4,000થી 5,000 એનઆરઆઇ આવશે તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. આ સંખ્યાને જોતા તેમના ઉતારા સંદર્ભમાં વ્યવસ્થા યોજવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.