જામનગરમાં ફસાયેલા પંજાબના મજૂરોની વતન વાપસી માટે એસી સ્લીપર બસની વ્યવસ્થા કરાઇ
જામનગરમાં ફસાયેલા પંજાબના મજૂરોની વતન વાપસી માટે એસી સ્લીપર બસની વ્યવસ્થા કરાઇ
જામનગરઃ લૉકડાઉનને પગલે દેશભરમાં શ્રમિક મજૂરોને સૌથી વધુ નુકસાન થયું છે, તેમની રોજી રોટી તો છીનવાઈ જ ગઈ છે સાથે જ લૉકડાઉનને પગલે પોતાના વતન જવા માટે તેમણે ભારે જહેમત પણ ઉઠાવવી પડી રહી છે. આવી જ રીતે જામનગરમાં પણ પંજાબના મજૂરો ફસાઈ ગયા હતા જેમની તંત્ર અને જામગનર પોલીસે મળી વતન વાપસીની વ્યવસ્થા કરી છે.
જામનગરમાં ફસાયા હતા મજૂર
જણાવી દઈએ કે લૉકડાઉનને પગલે જામનગરમાં ફસાયેલા પંજાબના કેટલાક મજૂરોને કંપનીઓએ પગાર આપી છૂટા કરી દીધા હતા. ત્યારે આ મજૂરોએ પંજાબ સરકારને મદદ માટે પોકાર લગાવી હતી પરંતુ તેમની કોઈએ એક ના સાંભળી. જો કે બાદમાં સ્થાનિક તંત્ર અને જામનગર પોલીસના સહયારા પ્રયત્નોથી આ મજૂરોની વતન વાપસીની વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ પાસે મદદ માંગી
મજૂરોને એકેય તરફથી મદદ ના મળતાં આખરે તેમણે જામનગર પોલીસના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરી મદદ માંગી હતી. બાદમાં જામનગર (મેઘપર) પોલીસ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી એ.સી. સ્લીપર બસની વ્યવસ્થા કરી છે. જેના મારફતે જામનગરમાં ફસાયેલા કુલ 73 જેટલા શ્રમિકોને પંજાબ પહોંચાડવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્ર બાદ ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે જ્યાં અત્યાર સુધીમાં 15195 કન્ફર્મ કેસ સામે આવ્યા છે જેમાંથી 938થી વધુ સંક્રમિતોના મોત થયાં છે. ગુજરાતના મોટાભાગના કેસ અમદાવાદથી સામે આવી રહ્યા છે. કુલ 15195 કેસમાંથી 11097 કેસ માત્ર એકલા અમદાવાદમાંથી જ સામે આવ્યાં છે અને 938 મૃત્યુમાથી 764 મૃત્યુ એકલા અમદાવાદમા થયાં છે. અમદાવાદમાં દરરોજ 200થી વધુ કેસ સામે આવી રહ્યા છે.