હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં આ વર્ષે પડશે 96થી 104 ટકા વરસાદ
ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વની જાહેરાત કરી છે.
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વની જાહેરાત કરી છે. ચોમાસા દરમિયાન રાજ્યમાં 96થી 104 ટકા વરસાદ પડવાનુ અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરુચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા તેમજ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી
તમને જણાવી દઈએ કે રાજ્યમાં 14 જૂન સુધી અંદાજે 14.45 મીમી વરસાદ નોંધાયો છે. જે છેલ્લા ત્રીસ વર્ષની રાજ્યની સરેરાષ 850 મીમીની સરખામણીમાં 1.70 ટકા છે. હાલમાં ગુજરાતમાં મેઘમહેર ચાલુ થઈ ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં ચોમાસુ જામશે. રાજ્યમાં 16 અને 17 જૂને સારો વરસાદ પડશે. અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. માછીમારોને 14 થી 17 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂન પછી રાજ્યમાં ખાસ કરીને મૂળ દ્વારકા, ભાવનગર, વેરાવળ, દીવ, જાફરાબાદ, અલંગ, ભરુચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં 96થી 104 ટકા વરસાદ પડવાની સંભાવના
ગાંધીનગર ખાતે રાહત નિયામક સી.સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ઉર્જા, માર્ગ અને મકાન, આરોગ્ય, વન વિભાગ, સીડબ્લ્યુસી, ઈસરો સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યુ હતુ કે, 'ગુજરાતમાં ચોમાસાનુ આગમન થઈ ગયુ છે. આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાતી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ચોમાસા દરમિયાન 96થી 104 ટકા વરસાદ પડવાની સંભાવના રહેલી છે.'
રાજ્યમાં બે જળાશયો વોર્નીંગ પર
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, 'ચાલુ વર્ષે અંદાજીત ૨,૫૩,૦૨૯ લાખ હેક્ટર ખરીફ પાકોનુ વાવેતર ૧૩ જૂન સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨,૧૮,૫૫૪ લાખ હેક્ટર વાવેતર થયુ હતુ. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૨.૯૩% વઘુ વાવેતર થયુ છે.' બીજી તરફ સિંચાઇ વિભાગના અધિકારીએ માહિતી આપી કે, 'સરદાર સરોવર જળાશયમાં ૧૫૪૯૧૫ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૪૬.૩૭ ટકા છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૧,૯૪,૯૫૪ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૩૪.૯૩ ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નીંગ પર છે. '