વડોદરા ખાતે બુલેટ ટ્રેન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન
સંયુક્ત પત્રકાર પરિષદ બાદ પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબેએ બીજા પણ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
14 સપ્ટેમ્બરને ગુરૂવારનો દિવસ આપણા દેશ અને ગુજરાત રાજ્ય માટે પણ ઘણો ખાસ રહ્યો. ગુરૂવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા દેશની પ્રથમ હાઇ સ્પીડ રેલ(બુલેટ ટ્રેન)ની યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મહાત્મા મંદિર ખાતે બંને દેશના નેતાઓએ અનેક કરારો અને સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંગે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધ્યા બાદ તેમણે વડોદારા ખાતે બુલેટ ટ્રેન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં વીડિયો કોન્ફરન્સ થકી ભાગ લીધો હતો.
વડોદરામાં પણ ગુરૂવારે જ હાઇ સ્પીડ રેલ(બુલેટ ટ્રેન) રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મોદી સરકારના ડ્રીમ પ્રજોક્ટ સમાન બુલેટ ટ્રેનની યોજનાને સાકાર કરવામાં આ રિસર્ચ સેન્ટર ખૂબ અગત્યનો ફાળો ભજવશે. અહીં ભારતના યુવાઓને બુલેટ ટ્રેનના સંચાલન માટે ટ્રેઇન કરવામાં આવશે, જેથી ભારત જાતે આ નવી ટેક્નોલોજીના સંચાલન અને વિકાસ માટે લાયક બને. આનાથી પીએમ મોદીના અભિયાનો મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાને પણ વેગ મળશે.
#Gujarat: PM Narendra Modi and Japan's PM Shinzo Abe inaugurated Bullet Train Research Institute in Vadodara via video conferencing pic.twitter.com/T0JlHzv0Pk
— ANI (@ANI) September 14, 2017
વીડિયો કોન્ફરન્સ થકી રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા બાદ બંને દેશના વડાપ્રધાને ગાંધીનગર ખાતે બુલેટ ટ્રેન સિમ્યુલેટરની મુલાકાત લીધી હતી. ત્યાંથી તેઓ મહાત્મા મંદિર ખાતેના સુઝુકી એક્ઝિબિશન બુથ પર પહોંચ્યા હતા. અહીં તેમની સાથે સુઝુકીના ચેરમેન એસામુ સુઝુકી પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ તેમણે ઇન્ડિયા-જાપાન પ્લિનરીમાં ભાગ લીધો હતો.