પતિને રાતે માતાજી નો પવન આવ્યો અને પત્ની ને કાઢી મુકી
અમદાવાદમાં માતાજીના કહેવામાં આવીને પતિએ પત્નીને તરછોડી. જે બાદ પત્નીએ પોલીસ ફરિયાદ કરી હતી. જાણો આ અંગે વિગતવાર જાણકારી અહીં.
અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં રવિવારે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અમિષા પરમારે તેના પતિ અને સાસરિયા પર વિવિધ કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. અમિષાએ તેના પતિ અને સાસરિયા વિરૂધ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલસ 498 ( અ) , 506 (1) અને 114, દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના પતિને માતાજીનો પવન લાગે છે અને તે અવારનવાર આ પ્રકારનું કૃત્ય કરે છે અને આ બાબતે પત્નીએ પતિને પુછતા તેણે પત્નીને ઘરેથી કાઢી મુકી હતી. આ બનાવની વિગતો એવી છે કે અમિષા પરમારના લગ્ન મે 2007માં ખુશ્મન સોસાયટી મેમનગરમાં રહેતા અમિત પરમાર સાથે થયા હતા. જેમાં સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગભગ ત્રણ માસ સુધી સાસરીમાં બરાબર ચાલ્યું હતું પણ ત્યારબાદ તેને નાની મોટી બાબતે પરેશાન કરવામાં આવતી હતી. લગ્ન જીવન દરમિયાન અમીષાને બે સંતાનોમાં દીકરા નીલ અને દિવ્યનો જન્મ થયો હતો.
સાસરીયામાં ત્રાસ અંગે અમીષાએ તેના માતા પિતાને આ અંગે જાણ કરી હતી. જો કે થોડા સમયમાં સારૂ થઇ જશે તેમ માનીને તે સાસરિયામાં રહેતી હતી. આ દરમિયાન ગત 8મી ફેબ્રુઆરીના રોજ રાતના સમયે અમીષાના પતિ સુતા હતા તે સમયે અચાનક હાથને હવામાં હલાવા માડ્યા હતા અને માતાજીનો પવન આવ્યો છે. તેમ બોલવા લાગ્યો હતો. જો કે આ સમયે ગભરાઇ ગયેલી અમીષાએ તેના પતિનો હાથ પકડીને પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પ્રયાસ, કર્યો હતો. પણ, તે સતત આ રીતે કરતો રહેતા અમીષાએ તેના સાસુ અને અન્ય પરિવારજનોને બોલાવ્યા હતા અને અમીષાના સાસુએ અમિત પર પાણી છાંટતા તે શાંત થયો હતો.
બાદમાં શુક્રવારે સવારે ચા નાસ્તો કરતા સમયે અમીષાએ તેના પતિ અમિતને રાતના સમયે બનેલી ઘટના અંગે પુછ્યું હતુ અને આવુ શા માટે થઇ રહ્યું છે.પણ, આ બાબતે અમિત ગુસ્સે થઇ ગયો હતો અને હવે હુ મરી જ જઇશ અને હાથની નસ કાપવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી રોષે ભરાયેલા સાસરિયાઓએ અમીષાને ધમકાવી હતી કે તારા કારણે અમિત મરી જશે. તું ઘરેથી જતી રહે અને અમિતે પણ તેને આવુ જ કહ્યું હતું. જો કે અમીષાએ આ અંગે તેના પરિવારજનોને જાણ કરીને બોલાવ્યા હતા અને છેવટે કંટાળીને તે પોતાના પિયરમાં અખબારનગર રહેવા આવી ગઇ હતી અને ઘાટલોડીયા પોલીસ મથકે નોંધાવી હતી.