પીઆઇ સામે રૂપિચા 60000 નો તોડ કર્યાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ
સરદારનગર પીઆઇ સામે રૂપિચા 60000 નો તોડ કર્યાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ
શુક્રવારે સાંજે કૃષ્ણનગરમાં એક વેપારીએ સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ ચાવડા અને અન્ય પોલીસ કર્મીઓ વિરૂધ્ધ રૂપિયા 60,000ની રોકડ લઇ તોડ કર્યાની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફરિયાદી લગ્ન બાદ દુબઇ ખાતે ફરવા માટે ગયા હતા અને ઘરે પરત આવ્યા ત્યારે કારમાં ચેકિંગ દરમિયાન દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે કેસ કરવાની ધમકી આપીને નાણા પડાવ્યા હતા.
આ બનાવની વિગતો એવી છે કે સનવિલા બંગલો નવા નરોડામાં રહેતા ધર્મેન્દ્ર પાસિયા (ઉ,વ.35)ના લગ્ન તા. 3.12.17ના રોજ રિકંલ સાથે થયા હતા અને ગત 19મી ફેબ્રુઆરીએ ધર્મેન્દ્ર, તેની પત્ની રિકંલ , ધર્મેદ્ર્નો મિત્ર પંકજ અને તેની પત્ની રીના દુબઇ ખાતે ફરવા માટે ગયા હતા અને દુબઇની ટુર પતાવીને 24મી ફેબ્રુઆરીએ રાતના 12 વાગે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચારેય પરત આવ્યા હતા.
દુબઇમાં તેમણે એક પેસેન્જર દીઠ બે એમ કુલ આઠ વિદેશી દારૂની બોટલો ડ્યુટી ફ્રી શોપમાંથી લીધી હતી તે પણ સાથે ઇન્ડિયામાં લાવ્યા હતા. અમદાવાદ પહોચ્યા ત્યારે ધર્મેન્દ્રનો મિત્ર અખિલ નાયર તેમને કારમાં લેવા માટે આવ્યો હતો અને પહેલા પકંજ અને તેની પત્નીને નિકોલ કળશ એપાર્ટમેન્ટ ખાતે ઉતારીને સનવિલા બંગલો ખાતે આવ્યા હતા. આ સમયે રિંકલ સામાન લઇને ઘરમાં ગઇ હતી જેમાં તેની બેગમાં દારૂની એક બોટલ હતી અને અન્ય ત્રણ બોટલો કારની ડેકીમાં હતી. ત્યારબાદ ધર્મેન્દ્ર અને અખિલ બંગલોની બહાર ઉભા રહીને વાતો કરી રહ્યા હતા. ત્યારે એક ડસ્ટર કાર આવી હતી. જેમાં બે વ્યકિતઓ બહાર આવી હતી અને ઓળખાણ પોલીસ અધિકારી તરીકે આપી હતી અને કાર તપાસવાનું શરૂ કર્યુ હતુ જેમાં કારમાં રહેલી દારૂની ત્રણ બોટલો જપ્ત કરી હતી અને કહ્યું હતુ હવે તમારા પર કેસ કરવામાં આવશે અને કાર પણ જપ્ત કરવામાં આવશે. જો કે ધર્મેન્દ્રએ કહ્યુ હતુ કે કાયદેસર રીતે લાવ્યો છે અને ડ્યુટી ફ્રીના બીલ પણ છે.
જો કે પોલીસે તેમની વાત માની નહી અને ઠક્કરનગર પોલીસ ચોકી પર બોલાવ્યા હતા અને પ્રોહીબીશનના કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ રૂપિયા 60000 લઇ લીધા હતા. આ અંગે ધર્મેન્દ્રએ અરજી કરી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ ચાવડાના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઇને કૃષ્ણનગર પોલીસને ફરિયાદ નોંધવાની તાકીદ કરતા છેવટે ગુરૂવારે ફરિયાદ નોંધવામાં આવી હતી.