અમદાવાદ: યુવા મતદારોએ કરેલ સવાલના અમિત શાહે શું જવાબ આપ્યા?
અમદાવાદ: અડીખમ ગુજરાત કેમ્પેન હેઠળ યોજાયેલ સંવાદ કાર્યક્રમ યુવા ટાઉન હોલમાં રાજ્યના યુવાઓએ અમિત શાહને વિવિધ સવાલો કર્યા હતા, આ સંવાદ કાર્યક્રમના મુખ્ય અંશો વાંચો અહીં...
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયા છે. રાજ્યમાં ભાજપ દ્વારા યુવા મતદારોને આકર્ષવા માટે 'અડીખમ ગુજરાત' કેમ્પેન હેઠળ યુવાઓ સાથે અમિત શાહનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રવિવારે અમદાવાદના થલતેજ ખાતે આવેલ પં.દીનદયાળ ઉપાધ્યાય સભાગૃહ ખાતે યોજાયેલા યુવા ટાઉન હોલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યુવાઓના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય અંશો વાંચો અહીં...
આદિવાસીઓનો વિકાસ, નર્મદા યોજના
- આદિજાતિના વિકાસ માટે ગુજરાતે જે કર્યું, તે ભારતમાં કોઇ રાજ્યએ નથી કર્યું. આદિવાસીઓ માટે બજેટની ફાળવણીની શરૂઆત પણ ગુજરાતે કરી છે. વનબંધુ કલ્યાણના ઘણા સારા પરિણામો આવ્યા છે અને અન્ય રાજ્યોએ પણ આ રીત અપનાવી છે.
- નર્મદા યોજના અંગે જવાબ આપતાં અમિત શાહે કહ્યું કે, નર્મદા યોજના ગુજરાતને એક પાણીવિહીન ડાર્ક ઝોનમાંથી બહાર કાઢતી યોજના છે. રાજ્ય માટે નર્મદા જીવાદોરી સમાન છે. 17મીએ પીએમ મોદી આ યોજનાનું લોકાર્પણ કરી યોજના પૂર્ણ કરશે.
- નોટબંધી અંગે તેમણે કહ્યું કે, આરબીઆઇ એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 99 ટકા ચલણી નોટો બેંકમાં પાછી આવી છે, એ પહેલાં 20 ટકા નોટો ભ્રષ્ટાચારીઓના ઘરમાં પડી હતી. એ બધી નોટો બેંકમાં આવી છે અને દેશના વિકાસનું કામ થઇ રહ્યું છે. પહેલાં 3.6 કરોડ લોકો આવકવેરો ભરતા હતા, એ સંખ્યા વધીને 6.3 કરોડ થઇ છે.
- જીએસટી અંગે વાત કરતાં અમિત શાહે કહ્યું કે, ભાજપે દરેક રાજ્ય સરકારના સાથે લઇને એક દેશ-એક કરની વાતને વાસ્તવિક રૂપ આપ્યું હતું. કોંગ્રેસ આ કરપ્રણાલી લાવવા માંગતી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.
નોટબંધી અને જીએસટી
પૂરપીડિતો
પૂર પીડિતો માટે સરકારે શું કર્યું, એ સવાલના જવાબમાં અમિત શાહે જણાવ્યું કે, ચોમાસું પૂર્ણ થતાં જ બનાસકાંઠા ઉપરાંત ઉત્તર ગુજરાતમાં થેયલ નુકસાન પર કામ કરવાની યોજના છે, જે નીતિનભાઇ મને સમજાવી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં સંકટને અવસરમાં ફેલાવવાનો સમય આવ્યો છે.
ગુજરાતના યુવાઓ BJPને મત કેમ આપે?
આ સવાલના જવાબમાં અમિત શાહે જણાવ્યું કે, ગુજરાતના યુવાનો માટે ભાજપને મત આપવાનું એક મોટું કારણ એ છે કે ગુજરાતના વિકાસના મોડેલની રચના ભાજપ સરકારે કરી છે. ભારતીયોને વિશ્વમાં લોકો સન્માનથી જુએ તે પ્રકારના બ્રાન્ડ ઇન્ડિયાની રચના પીએમ મોદીએ કરી છે. કેન્દ્રની સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા જેવી યોજનાઓ દ્વારા યુવાનો વિશ્વના અન્ય યુવાનો સાથે સ્પર્ધા કરવા તૈયાર થશે.
ભારતીય જનતા પાર્ટી અંગે અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, 'ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં વિકાસની ગતિ વધી છે. ભારતમાં પણ પોલિટિક્સ ઓફ પર્ફોમન્સની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે. ભારતભરમાં ભાજપની વિજય પરંપરા સર્જાઇ છે, ભાજપના વિકાસને જનતાઓ સ્વીકાર્યો છે. આ જનાદેશ બતાવે છે કે, દેશ સાચી દિશામાં ચાલી રહ્યો છે. ભાજપે લોકોને સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી એ પ્રકારનું શાસન આપવાનો પ્રયત્ન કર્યો છે.'