'તમે બિલકિસના બળાત્કારીઓેને મુક્ત કર્યા, કયો સબક અમે યાદ રાખીએ...', ઓવેસીએ શાહ પર કર્યો પલટવાર
ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના '2002માં તોફાનીઓને પાઠ ભણાવ્યો હતો'વાળા નિવેદન પર પલટવાર કરીને નિશાન સાધ્યુ છે.
Asaduddin Owaisi on Amit Shah: ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના '2002માં તોફાનીઓને પાઠ ભણાવ્યો હતો'વાળા નિવેદન પર પલટવાર કરીને નિશાન સાધ્યુ છે. અમદાવાદના જૂહાપુરામાં એક જનસભામાં સંબોધન દરમિયાન ઓવૈસીએ કહ્યુ કે આજે અહીંના એમપી સાહેબ જનાબ અમિત શાહે પોતાના ભાષણમાં ક્યાંક કહી દીધુ કે 2002માં આપણે જે સબક શીખવાડ્યો હતો તેના લીધો ગુજરાતમાં હવે શાંતિ થઈ ગઈ છે. હું આ વિસ્તારના એમપીને કહેવા માંગુ છુ, ભારતના ગૃહમંત્રીને કહેવા માંગુ છુ કે તમે જે 2002માં સબક શીખવાડ્યો, તે એ સબક હતો કે બિલકિસના રેપિસ્ટોને તમે છોડશો.
'તમારો કયો સબક છે આ, શું અમે આને યાદ રાખીશુ?'
અમદાવાદમાં ઓવૈસીએ આગળ કહ્યુ કે, '2002માં તમે જે પાઠ ભણાવ્યો હતો તે એ હતો કે બિલ્કિસના બળાત્કારીઓને તમે છોડાવશો, તમે બિલ્કિસની 3 વર્ષની દીકરીના હત્યારાઓને છોડાવશો. અહેસાન જાફરીને મારી નાખવામાં આવશે. તમારો કયો સબક છે આ, શું અમે આને યાદ રાખીશુ?' AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અહીં ન અટક્યા. તેમણે અમિત શાહ પર પ્રહાર કરતા વધુમાં કહ્યુ કે જ્યારે પીડિતોને ન્યાય મળે છે ત્યારે જ શાંતિ મજબૂત બને છે. તમે પાઠ ભણાવવાની વાત કરો છો પણ કાયદો ભૂલી જાઓ છો. સત્તામાં આવ્યા પછી લોકો ભૂલી જાય છે, સત્તા કોઈની પાસે રહી નથી. રહેવાની પણ નથી. એક દિવસ સત્તા બધા પાસેથી છીનવી લેવામાં આવશે.
'દિલ્લી કોમી રમખાણોના તોફાનીઓને તમે શું પાઠ ભણાવ્યો?'
ઓવૈસીએ આગળ પૂછ્યુ કે, અમિત શાહ, 2020ના દિલ્લી કોમી રમખાણોના તોફાનીઓને તમે શું પાઠ ભણાવ્યો? સત્તાના નશામાં ગરકાવ થઈને આજે ભારતના ગૃહમંત્રી કહી રહ્યા છે કે અમે પાઠ ભણાવ્યો છે. અરે, તમે શું પાઠ ભણાવ્યો કે દેશની બદનામી થઈ. અમિત શાહ, તમે શું પાઠ ભણાવ્યો કે દિલ્હીમાં રમખાણો થયા. વેજલપુર મતવિસ્તારમાંથી તેમની મહિલા ઉમેદવાર ઝૈનબ શેખ માટે મત માંગીને ઓવૈસીએ મતદારોને વિનંતી કરી કે તેઓ એવા ઉમેદવારને મત આપે જે જનતાની સેવા કરે. જો તમે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી(AAP) ને મત આપશો તો તમારો મત વેડફાઈ જશે. તમારા મતનો ઉપયોગ કરવા માટે AIMIMને મત આપો.
અમિત શાહે શું કહ્યુ હતુ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યુ હતુ કે અગાઉ ગુજરાતમાં અસામાજિક તત્વો હિંસા કરાવતા હતા અને કોંગ્રેસ તેમને ટેકો આપતી હતી. જો કે, હવે 2002માં 'પાઠ શીખવાડ્યા' પછી ગુનેગારોએ આવી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં કાયમી શાંતિ સ્થાપી છે. શાહે દાવો કર્યો હતો કે ગુજરાતમાં 2002ના રમખાણો એટલા માટે થયા હતા કારણ કે લાંબા સમયથી કોંગ્રેસના સમર્થનને કારણે ગુનેગારોને હિંસા કરવાની આદત પડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2002માં ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્યના ઘણા ભાગોમાં મોટા પાયે હિંસા થઈ હતી.
|
AIMIMના 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
ઉલ્લેખનીય છે કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 14 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. AIMIM ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ અગાઉ માંડવી, ભુજ, વડગામ, સિદ્ધપુર, વેજલપુર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર ખાડિયા, દાણીલીમડા, ખંભાળિયા, માંગરોળ, લિંબાયત, સુરત પૂર્વ અને ગોધરા બેઠકોના ઉમેદવારોની યાદી ટ્વીટ કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બાકીની 93 વિધાનસભા બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થશે.