અલ્પેશ ઠાકોરે ગેરકાયદેસર હુક્કાબાર અને રવિ પુજારી ગેંગની ધમકી અંગે લખ્યા પત્રો
અલ્પેશ ઠાકોરે ગેરકાયદેસર હુક્કાબાર અને રવિ પુજારી ગેંગની ધમકી અંગે સીએમ અને ડીજીપીને લખ્યા પત્રો
રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે વિધાનસભા સત્ર પૂર્ણ થતા હવે સરકારને કાયદો અને વ્યવસ્થાના મુદે ઘેરવાનું શરૂ કરી દીધું છે અને જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના ડીજીપી શીવાનંદ ઝાને પત્રો લખીને ખુલાસા માંગ્યા છે. જેમાં વિજય રૂપાણી અને પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને જણાવ્યું છે કે હુક્કા બાર યુવા ધનને બરબાદ કરતુ સૌથી મોટુ દુષણ છે અને તેના પર સરકારે કાયદાની લગામ લગાવીને તેના પર પ્રતિંબધ પણ મુક્યો હતો. જો કે તેમ છંતાય, અમદાવાદ જેવા શહેરોમાં હજુ પણ ગેરકાયદેસર રીતે હુક્કા બાર ધમધમી રહ્યા છે.જેમાં તેણે સિંઘુ ભવન ખાતે ચાલતા એલેઝીયમ નામના હુક્કાબારનું ઉદાહરણ આપીને કહ્યું છે કે આ હુક્કા બાર પર વસ્ત્રાપુર પોલીસ દ્વ્રારા અવારનવાર દરોડા પાડવામાં આવ્યા હોવા છંતાય, અહિયા બેરોકટોક હુક્કાબાર ચાલી રહ્યું છે.
આ સાથે અલ્પેશ ઠાકોરે આક્ષેપ લગાવ્યા છે કે સરકારની છત્રછાયામાં આ પ્રકારના હુક્કા બાર ધમધમી રહ્યા છે અને જો ખરેખર સરકાર ઇચ્છતી હોય તો શા માટે સરકાર પોલીસને આકરા પગલા ભરવાનું સુચન નથી કરતી. આમ, સરકારની દાનત પર પણ અલ્પેશ ઠાકોરે આકરા સવાલ ઉઠાવ્યા છે.
બીજા પત્રમાં અલ્પેશ ઠાકોરે રાજ્યના ડીજીપી શીવાનંદ ઝાને સંબોધીને કહ્યું છે કે ગત વિધાનસભા સત્ર દરમિયાન 10થી વધુ કોગ્રેસના ધારાસભ્ચોને ગેગસ્ટર રવિ પુજારી દ્વારા ધમકી આપવામાં આવી હતી અને આ અંગે વિધાનસભામાં ગૃહપ્રધાને તપાસ કરવાની ખાતરી આપી હતી.
આ અંગે તપાસ ક્યાં સુધી પહોંચી છે અને કેટલા શંકમંદો ઝડપાયા છે અને છેલ્લાં બે વર્ષ દરમિયાન રવિ પુજારી દ્વારા કેટલાં લોકોને ધમકી આપવામાં આવી તે અંગે પણ માહિતી માંગી છે. આમ,અલ્પેશ ઠાકોર હવે તેના અસલ મિજાજમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો બનાવવા પાછળ અલ્પેશ ઠાકોરનો સૌથી મોટો હાથ છે. કારણ કે ગાંધીનગરમાં યોજેલી એક રેલીએ સરકારી તંત્રને હલાવી દીધું હતુ અને ત્યારબાદ દારૂબંધીને કાયદાને સરકારે વધુ કડક બનાવ્યો હતો. જેની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવી હતી અને જેના પગલે અલ્પેશ ઠાકોર રાષ્ટ્રીય લેવલે પહોંચતા કોગ્રેસે તેમને ટીકીટ આપી હતી અને તે ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા.