અમદાવાદ કોર્પોરેશને આપી ચેતવણી, આ વાત નહિ માનો તો ઘરેથી કચરો નહિ ઉઠાવે
કોર્પોરેશનની આ વાત નહિ માનો તો તમારા ઘરેથી કચરો નહિ ઉઠાવે
અમદાવાદઃ પીરાણામાં આવેલ કચરાનો ડુંગર દિવસેને દિવસે મોટો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સફાળું જાગ્યું છે અને ડિસેમ્બરથી ભીનો તથા સૂકો કચરો અલગથી કલેક્ટ કરવાનો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરીજનોને ચેતવણી આપી છે કે જો સૂકો અને ભીનો કચરો અલગ ન કર્યો તો ડિસેમ્બરથી તમારા ઘરેથી કે સોસાયટીમાંથી કચરો ઉઠાવવામાં આવશે નહિ.
કોર્પોરેશને આપી ચેતવણી
અમદાવાદ કોર્પોરેશને અગાઉ પણ લોકો ઘરેથી જ કચરાને અલગ કરીને કચરા પેટીમાં ફેંકતા થાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા પણ કોર્પોરેશનને તેમાં માત્રને માત્ર નિષ્ફળતા જ હાથ લાગી હતી. બાદમાં કોર્પોરેશને એકઠો કરેલ કચરાને અલગ પાડવા માટે કેટલીક નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશનને પણ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો પણ લાંબો સમય સુધી આ પ્રોજેક્ટ પણ ન ચાલી શક્યો.
ઉદ્ભવ સ્થાનેથી જ કચરો અલગ કરવો જરૂરી
ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશન, સોલિડ વેસ્ટ, મુકેશ ગઢવીએ કહ્યું કે કમિશનર વિજય નેહરાએ કચરાના ઉદ્ભવ સ્થાનેથી જ સૂકો અને ભીનો કચરો અલગ કરી લેવામાં આવે તે અંગે નિર્દેશ આપ્યો હતો. ગઢવીએ કહ્યું કે કોર્પોરેશન આગામી મહિનેથી કડક રીતે આ નિયમનું અમલિકરણ થાય તેની ખાતરી કરશે. ટૂંક સમયમાં જ તારીખની જાહેરાત પણ કરવામાં આવશે. જે-તે ઘરેથી કે સોસાયટીમાંથી જ જો કચરાને અલગ તારવવામાં ન આવ્યો તો કોર્પોરેશન ત્યાંથી કચરો ઉઠાવવાની ના પાડી દેશે.
અગાઉ આ વિસ્તારોમાં થઈ ચૂકી છે પહેલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક સિનિયર અધિકારીએ કહ્યું કે સોસાયટી પાસે અલગથી કચરો એકઠો કરવાની વ્યવસ્થા હશે ત્યારે જ કોર્પોરેશનનું વાહન તેમની સોસાયટીના ગેટ પર જશે અને તેમણે એ કચરો આપવાનો રહેશે. જણાવી દઈએ કે અગાઉ આ વર્ષે જ નારાણપુરા અને બોડકદેવમાં કોર્પોરેશને અલગથી કચરો એકઠો કરવાની પહેલ શરૂ કરી હતી પણ જાગૃકતાના અભાવને પગલે નિષ્ફળતા સાંપડી હતી.
પ્રદૂષણ ફેલાવવામાં અમદાવાદીઓ માહેર, દરરોજ ઠાલવે છે હજારો ટન કચરો