અમિત શાહે વાવઝોડાને હરાવવાનો શ્રેય ટીમ વર્કને આપ્યો, ગુજરાત સરકારે ટાર્ગેટ-20 ની જાહેરાત કરી
અરબ સાગરમાંથી કચ્છ અને પુરા સૌરાષ્ટ્રમાં વિનાશ વેરનારા વાવાઝોડાએ હવે વિદાય લીધી છે. જો કે સદનસીબે આ વાવાઝોડામાં મોટી જાનહાનિ થઈ નથી અને હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે. બીજી તરફ વાવાઝોડા સામેની આ જીતનો શ્રેય અમિત શાહે ટીમ વર્કને આપ્યો છે.
ચક્રવાત બિપરજોય બાદની સ્થિતીને નીપટવા ગુજરાત સરકારે મિશન-20 લોંચ કર્યુ છે. ગુજરાત સરકારે 20 જૂન સુધીમાં કચ્છના તમામ 3400 ગામડાઓમાં વીજ પુરવઠો ફરીથી શરૂ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.

બિપરજોયના લેન્ડફોલ બાદ કચ્છ આવેલા ગૃહમંત્રી અમિત શાહે ઝીરો કેઝ્યુઅલ્ટી માટે ગુજરાત સરકારની પ્રશંસા કરી અને કહ્યું કે, કચ્છના 1600 ગામોમાં 24 કલાકથી ઓછા સમયમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તેમણે આગળ કહ્યું કે, કચ્છમાં હાલ 1133 ટીમો કામ કરી રહી છે. 18મી જૂનથી વધુ 400 ટીમો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરશે.
અમિત શાહે આગળ જણાવ્યું કે, રાજ્ય સરકારે NDMA ની ગાઈડ લાઈનને 100 ટકા જમીન પર લાગુ કરી. આના કારણે ઝીરો કેઝ્યુઅલ્ટીનો ટાર્ગેટ પાર પડ્યો છે. અમિત શાહે ગુજરાત સરકારની પ્રશંસા કરતા કહ્યું કે, ટીમ ગુજરાત દ્વારા કરવામાં આવેલ અસાધારણ કાર્ય માટે તે મુખ્ય સચિવથી લઈને ગામના પટવારી સુધીના દરેકને અભિનંદન પાઠવે છે.
અમિત શાહે કહ્યું કે, કચ્છના તમામ ગામડાઓમાં માત્ર વીજ પુરવઠો જ નહીં પરંતુ તમામ લોકોને તેમના ઘરે પરત મોકલી દેવામાં આવશે. આ માટે સરકાર કામ કરી રહી છે.
અમિત શાહે આગળ કહ્યું કે, કચ્છમાં નુકસાનનો પ્રાથમિક સર્વે હજુ નથી કરાયો. આગામી દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાશે. હાલમાં સરકારની પ્રાથમિકતા કચ્છના તમામ ગામડાઓમાં વીજળી પહોંચાડવી અને ઘર છોડી ગયેલા લોકોને પરત લાવવાની છે.
સહાયને લગતા એક સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે, પેકેજ ગુજરાત સરકારનું હશે અને માછીમારોથી લઈને ખેડૂતો સુધી દરેકનું ધ્યાન રાખવામાં આવશે.












Click it and Unblock the Notifications
