સંબંધી મૃત્યુ પામ્યાનું બહાનું બનાવી ગ્રીન ઝોન અમરેલીમાં ઘૂસ્યા ચાર લોકો
સંબંધી મૃત્યુ પામ્યાનું બહાનું બનાવી ગ્રીન ઝોન અમરેલીમાં ઘૂસ્યા ચાર લોકો
ગુજરાતમાં કોરોના વાયરસે કહેર મચાવી રાખ્યો છે. ચાર ગ્રીનઝોન અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાંથી 2 જિલ્લામાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. રાજસ્થાનથી દ્વારકા આવેલા 2 શખ્સોમાં કોરોના પોઝિટિવ જણાયો, જ્યારે અમદાવાદથી જામનગર આવેલ શખ્સ પણ કોરોના પોઝિટિવ નીકળ્યા બાદ આજે જૂનાગઢમાં પણ કોરોના પોઝિટિવની એન્ટ્રી થઈ ગઈ છે. જૂનાગઢમાંથી પણ કોરોના વાયરસના 2 કેસ નોંધાયા છે. 40-40 દિવસના લૉકડાઉન બાદ પણ લોકો પોતાનો જીવ તો ખતરામાં નાખે જ છે પણ સાથે જ બીજાના જીવ સાથે પણ ખિલવાડ કરી રહ્યા છે. હવે અમદાવાદથી સંબંધી મરી ગયા હોવાનું બહાનું બનાવી ચાર લોકો અમરેલીમાં ઘૂસ્યા હોવાના અહેવાલ મળ્યા છે. આ ચારેય શખ્સ શુક્રવારે રેડ ઝોન અમદાવાદથી અમરેલી આવ્યા હતા.
પોલીસે જણાવ્યા મુજબ અમરેલી તાલુકાના મોનપુર ગામના અશોક ગજેરા અને ત્રણ મહિલાઓએ પહેલી મેના રોજ રેડ ઝોન અમદાવાદમાંથી ગ્રીન ઝોન અમરેલીમાં ઘૂસણખોરી કરી હતી, સરકારી પાસ લઈ તેઓ અમરેલીમાં ઘૂસ્યા હતા અને પાસ કઢાવતી વખતે મોનપુર ગામમાં તેમના સંબંધી મૃત્યુ પામ્યા હોવાનું બહાનું કાઢ્યું હતું.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, "1 મેના રોજ અશોક ગજેરા અને ત્રણ મહિલાઓએ અમરેલીમાં પ્રવેશ કર્યો, તેમની પાસે પાસ હતો જેમાં મોનપુર ગામમાં સંબંધી મૃત્યુ પામ્યા હોવાનું કારણ લખેલું હતું. જ્યારે અમે ગામના સરપંચ અને તલાટી મંત્રી પાસે ક્રોસ ચેકિંગ કર્યું તો જાણવા મળ્યું કે મોનપુર ગામમાં છેલ્લા એક મહિનાથી એકેય મૃત્યુ નથી થયાં."
IPCના સેક્શન (વિશ્વાસ ઘાત), 177 (ખોટી માહિતી રજૂ કરવી), 269 (બેદરકારીભર્યા કૃત્યથી રોગનો ચેપ ફેલાવવાની સંભાવના), 270 (દૂષિત કાર્યથી રોગના ચેપ ફેલાવાની સંભાવના છે), 188 (જાહેર સેવક દ્વારા આપવામાં આવેલ આદેશનો ભંગ) અને એપીડેમિક ડીસીસ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સંબંધિત સેક્શન અંતર્ગત કેસ નોંધાવી લેવામાં આવ્યો છે.
પોલીસ કર્મચારીએ વધુમાં ઉમેર્યું કે ચારેયને આગલા 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે અને તે બાદ કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવશે.
ઈરફાન ખાનની ફિલ્મ 'અધૂરા' રીલિઝ ના થઈ, સમલૈંગિક સંબંધો પરની પહેલી બૉલીવુડ ફિલ્મ