અરાઉન્ડ ધ ગુજરાતઃ વાંચો, આજે રાજ્યમાં ક્યાં શું થયું
ગાંધીનગર, 2 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજકોટ અંગે વાત કરવામાં આવે તો રાજકોટની એમજી હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા આતંક મચાવવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઇ છે જ્યારે રાજકોટમાં એક મકાન ધરાશયી થતા એકનું મોત નીપજ્યું છે. અન્ય એક રાજકોટના સમાચારની વાત કરવામાં આવે તો લોધિકાના મોટાવડા ગામની દલીત યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આણંદ પાસે ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નીપજ્યાં છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.
રાજકોટઃ યુવતી પર બળાત્કાર, પિતાને મોતની ધમકી
રાજકોટ ફરી શર્મસાર થયું છે. લોધિકાના મોટાવડા ગામે રહેતી 19 વર્ષીય દલિત યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. આ બનાવ અંગે મળેલી માહિતી અનુસાર લોધિકાના મોટાવડા ગામે રહેતી દલિત યુવતીનું પાંચ શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને કાલાવાડના ધૂન ધોરાજી ગામે તેને ગોંધી રાખવામાં આવી હતી. અપહરણકર્તાઓએ યુવતીને તેના પિતા અને ભાઇને મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી હતી અને બાદમાં અલગ-અલગ સ્થળો પર ચાર શખ્સો દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જે અંગેની ફરિયાદ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
રાજકોટઃ મકાન ઘરાશયી થતાં એકનુ મોત
રાજકોટમાં એક મકાનની છત ધરાશયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના રામકૃષ્ણનગર વેસ્ટ વિસ્તારમાં એક મકાનની છત ધરાશયી થઇ હતી, છત જ્યારે ધરાશયી થઇ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ તેની નીચે દબાઇ ગઇ હતી, જેનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બચાવ અભિયાન હાથ ધર્યું હતું.
આણંદ પાસે ગમખ્વાર અકસ્માતઃ 7ના મોત 18ને ઇજા
તારાપુર ચોકડી પાસે મોડી રાત્રે આઇશર ટ્રક અને છોટા હાથી વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 18 લોકોને ઇજા પહોંચી છે, જેમને સારવાર અર્થે નજીકમાં આણંદની હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર પુરુષ અને ત્રણ મહિલા છે. અકસ્માત અંગે જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર GJ-1-CZ-7097ના છોટા હાથીમાં 30 લોકો સવાર હતા. આ તમામ લોકો મધ્ય પ્રદેશના રહેવાસી હતા અને મજૂરી અર્થે ગુજરાત આવ્યા હતા. અકસ્માતમાં એક બાળકીનો ચમત્કારીક બચાવ થયો છે.
રાજકોટઃ હોસ્ટેલના વિદ્યાર્થીઓનો આતંક
રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી એમજી હોસ્ટેલના વિદ્યાર્થીઓનો આતંક વધી રહ્યો છે, અવાર નવાર પોતની કરતૂતોના કારણે ચર્ચામાં આવનારા આ હોસ્ટેલના છાત્રો દ્વારા રવિવારે બે યુવકો સાથે મારપીટ કરી હતી અને યુવકોની બાઇકને ખાસું એવું નુક્સાન પહોંચાડ્યું હતું. છાત્રો દ્વારા મચાવવામાં આવેલા આતંકથી દોડધામ મચી ગઇ હતી, જેની જાણ ગાંધીગ્રામ અને માલવિયાનગર પોલીસ સ્ટાફને થતા તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
બહુચરાજીઃ ગુજરાતમાં બનશે ગે હોસ્ટલ
સમલૈગિકો પણ એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી શકે તે હેતુસર ગુજરાતના બહુચરાજી ખાતે એક હોસ્ટેલ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. આ કાર્ય ગુજરાત ચુવાળ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં સમલૈંગિકોનો મોટો વર્ગ છે. 1989માં શરૂ કરવામાં આવેલી આ સંસ્થા દ્વારા મુંબઇ, અમદાવાદ, પુણે, દિલ્હી, વડોદરા ઉપરાંત વિદેશોમાં જેમકે અમેરિકા, જર્મનીમાં પણ સમલૈગિંકોની રેલી યોજવામાં આવી છે. સમલૈંગિકો માટેની હોસ્ટેલ તેમને ખુલીને જીવન જીવવાની તક આપશે.