અરાઉન્ડ ધ ગુજરાતઃ વાંચો, આજે રાજ્યમાં ક્યાં શું થયું
ગાંધીનગર, 5 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, પોરબંદર ખાતે આવેલા બાળ આશ્રમમાં બાળકો સાથ જાતિય શોષણ થતું હોવાનો અહેવાલ પ્રકાશમાં આવ્યા બાદ આજે ચાઇલ્ડ રાઇટ કમિશન દ્વારા આશ્રમ ખાતે રેડ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરમાં કેપી સંઘવી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરે સરસાણા સચીન રોડ પર પોતાની કારમાં ઝેરી દવાનું ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચ્યો છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.
પોરબંદરઃ બાળ આશ્રમમાં જાતિય શોષણનો મામલો
પોરબંદર ખાતે આવેલા બાળ આશ્રમમાં બાળકો સાથ જાતિય શોષણ થતું હોવાનો અહેવાલ પ્રકાશમાં આવ્યા બાદ આજે ચાઇલ્ડ રાઇટ કમિશન દ્વારા આશ્રમ ખાતે રેડ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરના ચાઇલ્ડ રાઇટ કમિશનની ટીમ પોરબંદર પહોંચી હતી અને બાળઆશ્રમના નવ જેટલા બાળકોનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ નિવેદનમાં ત્રણ જેટલા બાળકોએ એ વાતનો સ્વિકાર કર્યો હતો કે તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. હાલ બાળ આશ્રમના ગૃહપતિ ફરાર છે. આ ઘટના અંગેની જાણ થયા બાદ પોલીસે પણ પોતાની કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટઃ 19મીએ યોજાશે રેવન્યુ કોન્ફરન્સ
રાજકોટ ખાતે 19મી રેવન્યુ કોન્ફરન્સનું આયોજન કરવાની યોજના બનાવવામાં આવી છે. આ બેઠક મહેસૂલમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ કલેક્ટર્સ, એડિશનલ કલેક્ટર્સ અને મામલતદારને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં હકપત્રક, રેવન્યુ, બાકી મહેસૂલ, લોકફરિયાદોની સમીક્ષા કરવામાં આવશે.
સુરતઃ ડોક્ટરે ઝેરનું ઇન્જેક્શન મારી કર્યો આપઘાત
સુરત શહેરમાં કેપી સંઘવી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરે સરસાણા સચીન રોડ પર પોતાની કારમાં ઝેરી દવાનું ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચ્યો છે. માહિતી અનુસાર નવપલ્લવ બંગલો પીપલોદ રહેતા ડો. મિતેશ નવિનભાઇ ભટ્ટે સવારે પોતાની શ્રેય હોસ્પિટલ ખાતે આવ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાની ઇન્ડિકા કરા લઇને સચીન રોડ તરફ કન્વેશન સેન્ટર નજીક પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાની કાર ઉભી રાખી અને પોતાના ડાબા હાથ પુર ઝેરી દવાનું ઇન્જેક્શન માર્યું હતું. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ ટ્રક-રિક્ષા વચ્ચે અકસ્માતમાં ચારના મોત
અમદાવાદ નજીક હાથીજણથી નડિયાદ જવાના માર્ગે મોડી રાત્રે ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં બેસેલા ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ત્રણને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મતૃદેહોનો પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. માહિતી અનુસાર અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ ઔડામાંથી પકડાયુ કુટણખાનું
અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત નર્મદા આવા યોજનાના મકાનમાં મુંબઇ અને ગોવાથી કોલગર્લ બોલાવી કુટણખાનું ચલાવવામા આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જે આધારે બુધવારે મોડી રાત્રે રેડ પાડવામાં આવતા પોલીસે બે મહિલા અને એક પુરુષને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુરમાં આવેલા નર્મદા આવાસ યોજનામાં રહેતા મોહમ્મદ રફીક અહેમદ નામના શખ્સ દ્વારા આ કુટણખાનું ચલાવવામાં આવ્યું હતું અને તે નેપાળની યુવતીઓ કે જે મુંબઇ અને ગોવા જેવા શહેરોમાં રહે છે, તેમને દેહ વ્યાપાર અર્થે અહીં બોલવાતો હતો. પોલીસે આ નેટર્વક ક્યાં સુધી ફેલાયેલું છે, તે જાણવા માટે તપાસ હાથ ધરી છે.
રાજકોટઃ નશીલા પ્રદાર્થના જથ્થા સાથે બિહારી ઝડપાયો
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર-14માં રહેતા રામજીભગત રાજેશ્વરપ્રસાદ માળી નામના પરપ્રાંતિય શખ્સના મકાનમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં પોલીસને મોટી માત્રામાં નશીલા દ્રવ્યોનો જથ્યો મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર રેડ દરમિયાન પોલીસને મધુમુનક્કા આયુર્વેદિક ઔષધ લખેલા પાઉચમાં નાની નાની ગોળીઓ મળી આવી હતી. જે નશીલા પ્રદાર્થની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે 18 કિલો અને 700 ગ્રામના મુદ્દામાલ સાથે બિહારી શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.